સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર માટે નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગરથી આવતીકાલથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે.આવતીકાલે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરી આ નવી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવશે.
આ અવસરે સાંસદ સર્વશ્રી આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ઉડે દેશ કા આમ આદમી’, ‘ઉડાન યોજના’ હેઠળ દેશમાં નાના શહેરોને પણ એર કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે.
ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગરના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે.તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગરમાં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.આવતીકાલથી દિલ્હી અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. ૨૧ ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે. આ ઉપરાંત ભાવનગર થી સુરતની ફ્લાઈટ ગુરુવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે