માલદે ગોહેલ, ગીર-સોમનાથ
માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો ર્વ્ચયુલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં ૧૬ અનાથ-નિરાધાર બાળકોને નાણાકીય સહાય અર્પણ કરાઇ હતી. આ યોજના અંતર્ગત પ્રતિ બાળક દીઠ રૂ ૪૦૦૦ની સહાય રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રી આર.જી.ગોહીલ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજાના હસ્તે ત્રણ બાળકોને કીટ એનાયત કરવામાં આવી હતી.
કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર નિરાધાર બનેલા બાળકોની આધાર બનવાની સંવેદનશીલતા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાખવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી સરકારના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૯ મે જાહેર થયેલ મુખ્યમંત્રી બાળસેવા યોજનાના માત્ર ૩૮ દિવસમાં રાજયવ્યાપી આગવી સંવેદના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રગટ કરી છે.
કોરોનાથી માતા પિતાનું અવસાન થતા નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચુકેલા ગીર-સોમનાથ જિલ્લાના ૧૬ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રૂ. ૪૦૦૦ની સહાયનો આજથી આરંભ કરાયો છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દરમહિને ૪૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે.
આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારીશ્રી મોર્ય, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રિયંકા બેન સહિત ઉપસ્થિત રહ્યા હતા.