ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ ઉપરાંત, આમ આદમી પાર્ટી, એનસીપી, શંકરસિંહ વાઘેલાનો જન વિકલ્પ મોરચો, લોકગઠબંધન પાર્ટી અને હવે સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી જવા ત્રીજા વિકલ્પો પણ ચિત્રમાં આવી રહ્યા છે. અન્ય પક્ષોની જેમ સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી પણ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીના જંગમાં ઝંપલાવવાનું છે અને રાજયની તમામ ૧૮૨ બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખવાનું આયોજન કરી રહ્યું છે. એસવીપીપીના ઉમેદવારોની પ્રથમ યાદી તા.૫મી નવેમ્બરે અને બીજી યાદી તા.૯મી નવેમ્બરે જાહેર કરાય તેવી શકયતા છે એમ અત્રે એસવીપીપીના પ્રદેશ પ્રમુખ જીગર કોઠિયા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશ પારેખે જણાવ્યું હતું. ગુજરાતમાં આ વખતની વિધાનસભા ચૂંટણીઓમાં ત્રીજા વિકલ્પ તરીકે સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના ઉમેદવારોને જીતાડવા જાહેર જનતાને અનુરોધ કરતાં એસવીપીપીના પ્રદેશ પ્રમુખ જીગર કોઠિયા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઇ પારેખે વધુમાં જણાવ્યું હતું કે, તેમની પાર્ટી સરદાર વલ્લભભાઇ પટેલે આપેલ શકિત, સંયમ અને સામન્જસ્યના સૂત્રોને અનુસરીને ચાલનારી પાર્ટી છે, જે પ્રજા અને લોકક્લ્યાણને સૌથી પહેલી પ્રાધાન્યતા આપે છે. ભાજપ અને કોંગ્રેસે અત્યારસુધીના તેમના શાસનમાં ગુજરાતની ભોળી જનતાને છેતરી અને પ્રજાને આપેલા વચનો પાળ્યા નથી. માત્ર મતોની લાલચમાં સ્વાર્થી અને ગંદી રાજનીતિ કરી રહ્યા છે આ પક્ષો પરંતુ એસવીપીપી પાર્ટીની વિચારધારા તે બધાથી અલગ છે. આગામી દિવસોમાં પાર્ટી તેનો ચૂંટણી ઢંઢોરો જાહેર કરશે અને જનતાના તમામ પ્રશ્નો, સમસ્યાઓનું નિરાકરણ લાવવા પાર્ટી કટિબધ્ધ છે. તેમણે ઉમેર્યું કે, અત્યારે ગુજરાત રાજયમાં ભારે અરાજકતાનો માહોલ છવાયો છે. દરેક સમાજના લોકો રસ્તાઓ પર પોતાના અધિકારો માટે રેલીઓ અને દેખાવો યોજી રહ્યા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, બેરોજગાર યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા છે અને આંતકવાદ તેમ જ ગંુડાગીરીનું પ્રમાણ વધતુ જાય છે આવા સમયે રાજયને અરાજકતાના માહોલમાંથી બહાર કાઢવા અને એક સુશાસન સ્થાપવા એસવીપીપીનો વિકલ્પ પ્રજા પાસે ઉત્તમ વિકલ્પ છે. આ પ્રસંગે પાર્ટીના પીઆરઓ પ્રશાંત પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાછલી પોસ્ટ