અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાની આડઅસર એવા મ્યુકોરમાઈકોસિસના કેસો સતત વધી રહ્યા છે. જેથી કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એપેડેમિક એક્ટ ૧૮૯૭ મુજબ આ રોગને એક મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ રોગચાળો ખૂબ વકર્યો હોવાથી રાજ્ય સરકારે મ્યુકોરમાઈકોસિસ માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઈકોસિસના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્કફોર્સમાં ડેન્ટલ, ઈએનટી, ઓપ્થેલ્મોલોજી, મેડિસીન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોના ૧૧ તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં મ્યુકોરમાઈકોસિસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જયારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧જ% દર્દીઓના મૃત્યુ થયા છે. વયજૂથની દૃષ્ટિએ આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% અને ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના અને ૨૪.૯% દર્દીઓ ૬૦થી વધારે વયના છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં મ્યુકોરમાઈકોસિસના રોગનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે. આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમિયાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઈ ન હતી. એટલું જ નહીં, કુલ દર્દીઓમાંથી ૫૯% દર્દીઓને ડાયાબીટિસ, ૨૨.૧% દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે ૧૫.૨% દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે. ૪૯.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ