ગલવાન ઝપાઝપીના 21 દિવસ બાદ ચીન LAC પર 2 કિમી પાછળ ખસી ગઈ છે. 15 જૂને થયેલ ઝપાઝપી બાદ બંને દેશો વચ્ચે થયેલી ડિપ્લોમેટિક અને આર્મી લેવલની મીટિંગસની સાથે છેલ્લા 48 કલાકોથી ચાલતા સતત પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારની અચાનક લદ્દાખ મુલાકાત પછી બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાનો પ્રયત્ન વધી ગયો હતો. વડાપ્રધાન મોદીએ લદ્દાખ સીમાથી નામ લીધા વગર ચીનને પડકાર આપ્યો હતો કે તેણે વિસ્તારવાદી નીતિ છોડી દેવી જોઈએ.
30 જૂને બંને દેશોના આર્મી ઓફિસર્સ વચ્ચેની મીટિંગમાં વિવાદવાળા વિસ્તારોમાંથી સૈનિકોએ પીછે હટ કરવા માટે સહમતી દર્શાવી હતી. જોકે ગલવાનના ઉંડાઈ વાળા વિસ્તારમાં ચીનની બખ્તરબંધ ગાડીઓ અત્યારે પણ હાજર છે. ભારતીય સેનાની સતત સ્થિતિ ઉપર નજર છે. ભારત-ચીન વચ્ચે 15 જૂને ગલવાનમાં થયેલી ઝપાઝપીમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. અને ચીનના 40 સૈનિકો ઠાર કરવામાં આવ્યા હતા. જો કે આ બાબત ચીને સ્વીકારી નથી.
લદ્દાખમાં ભારતે 30 હજાર વધુ જવાન તહેનાત કર્યા છે. તેમને ઠંડીથી બચાવવા માટે ઈમરજન્સી ઓર્ડર આપવામાં આવશે. સેનાના સીનિયર ઓફિસર્સનું માનવું છે કે, ચીન સાથેનો તણાવ લાંબો ચાલી શકે છે, તેથી સ્પેશિયલ ટેન્ટ્સની જરૂર પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીને પણ તેમના સૈનિકોને ખાસ પ્રકારના ટેન્ટ્સમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.