ધોરાજીમાં લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે લેઉવા પટેલ કેળવણી મંડળના અરવિંદભાઇ પટેલ દ્વારા નરેશ પટેલના સન્માન સમારોહનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં નરેશ પટેલને ધોરાજીનાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ફૂલહાર, મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. નરેશ પટેલે ૨૦૧૭ની ચૂંટણીને લઇને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાજ વચ્ચે રહીને સમાજનું કામ કરે તેની સાથે ખોડલધામ હંમેશને માટે ઊભું રહેશે.નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખોડલધામ નિષ્પક્ષ ટ્રસ્ટ છે. રાજકારણ સાથે જોડાયેલું નથી. ખોડલધામ ટ્રસ્ટની સંખ્યા અને બળને જોઇ તેમાં રાજકારણ ડગલેને પગલે અંદર આવતું હોય છે. કોઇ પક્ષની વાત કરતો નથી પરંતુ સમાજ ઉપયોગી લોકો રાજકારણમાં આવવા જોઇએ. રાજકીય પાર્ટીને મળીએ કે ન મળીએ તે મહત્વનું નથી. પણ સમાજ ઉપયોગી અને સમાજને આગળ વધારે તેની સાથે ખોડલધામ હંમેશને માટે ઊભું રહેશે.કાર્યક્રમના પ્રાસંગીક પ્રવચનમાં નરેશભાઇએ જણાવ્યું હતું કે, ખોડલધામનું સર્જન કરીને લેઉવા પાટીદાર સમાજનું ગૌરવ વધારેલું છે. આ સન્માન મારૂ નથી સમગ્ર લેઉવા પટેલ સમાજનું સન્માન કરાયું છે. લેઉવા પટેલ સમાજ માટે રાજ્યભરમાં સમાધાન પંચ રચવાનું જણાવીને ધોરાજીમાં પ્રથમ સમાધાન પંચની કામગીરી શરૂ કરવાનું જણાવ્યું હતું.