ભારતને ટૂંક સમયમાં નાક દ્વારા આપવામાં આવતી કોરોના રસી મળી શકે છે. ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ થોડા દિવસ પહેલા હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીની નાકથી આપવામાં આવતી રસીના પ્રથમ તબક્કાને પરીક્ષણને મંજૂરી આપી હતી. જેને લઈ ભારત બાયોટેકના એમડી ડો. ક્રિષ્ના એલ્લાએ એક ચેનલ સાથે એક્સક્લુસિવ વાત કરી હતી. સોય દ્વારા આપવામાં આવતી રસી ફક્ત નીચલા ફેફસાં, ઉપલા ફેફસાં અને નાક સુધી જ સુરક્ષિત નથી હોતી. રસી અપાયેલા લોકોને ચેપ લાગી શકે છે. પરંતુ રસી તમને હોસ્પિટલમાં દાખલ થવામાં રોકે છે. તમને ૨-૩ દિવસ સુધી તાવ આવે છે. પરંતુ મૃત્યુદરમાં ઘટાડો થશે.
નાક દ્વારા આપવામાં આવતી રસી રસ્તામાં જ છે. અમારી પ્રથમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે અને ૮ મે છેલ્લી તારીખ છે. અમે (ભારત બાયોટેક) નાકની રસી લઈને આવનાર વિશ્વના પ્રથમ હોઈશું. અમે નાકની રસીના ડેટાની રાહ જોઈ રહ્યા છીએ. જો નિયમનકારો મદદ કરે તો અમે યુએસ અને ચીન તરફથી સ્પર્ધા હોવા છતાં આપણે પ્રથમ હોઈશું, તેમ કૃષ્ણ એલ્લાએ ઉમેર્યું. નાકની રસીની કામગીરી અને તેને કેવી રીતે આપવામાં આવશે તેની વિગત આપતા તેમણે કહ્યું કે, “જો તમે નાકની રસીનો એક ડોઝ લો તો તમે ચેપને બ્લોક કરી શકો છો અને ત્યાંથી ટ્રાન્સમિશન ચેઇનને બ્લોક કરી શકો છો. તે પોલિયોના ૪ ટીપા જેવું છે, જેમાં બંને નસખોરામાં બે-બે ટીપા નાંખવામાં આવશે.
ડબ્લ્યુએચઓ જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ નાક દ્વારા આપવામાં આવતી રસીને સેકન્ડ જનરેશનની રસી તરીકે ખાતરી આપી રહ્યા છે. ઈંજેક્શન દ્વારા અપાતી રસી ચેપ રોકી શકતી નથી. અમે નાકની રસીને લઈ વૈશ્વિક ધોરણે સમજૂતી કરીશું, તેમ જણાવ્યું હતું.