રાજ્યમાં કોરોના વાયરસનાં આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જોઇને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.
આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ૮૨ પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે.
આજે આ સોગંધનામા પર કોર્ટમાં દલીલો થઈ હતી. આ બાબતે સરકારને કોર્ટે કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા.
કોર્ટે ટકોર કરી હતી કે ૧૦૮ સિવાય આવતા દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી? આ ઉપરાંત ઓક્સિજનની જરૂરિયાતો કેટલી છે તેની સપ્લાય કેટલી છે?
દર્દીને દાખલ થવા માટે વેઇટિંગ પિરિયડ વગેરે મુદ્દે કોર્ટે કેટલાક સવાલો કર્યા છે.
ચીફ જસ્ટિસે સરકારને પૂછ્યું કે કોવીડની હોસ્પિટલમાં પ્રાઇવેટ વાહનોમાં લાવનારા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી, આવું શા માટે? ન્યાયાધીશે સરકારને કહ્યું કે પહેલા ઝોન વાઇઝ એમ્બ્યુલન્સ ૧૦૮ વ્યવસ્થા કરતી હતી.હવે સેન્ટ્રલ લાઇઝ ૧૦૮ કરવાથી દર્દીઓ ને હાલાકી પડે છે.
આ સુનાવણીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી ડૉ.દેવેન્દ્ર પટેલે રજૂઆતો કરી હતી અને જણાવ્યું હતું કે હોમકેર દર્દીઓની ગાઇડલાઇન મુજબ આઇસોલેટ દર્દીઓની યાદી પ્રસિદ્ધ કરવી જોઈએ.
આ ઉપરાંત રાજકીય અને સામાજિક મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. આ ઉપરાંત રાજ્યમાં સરકારે ઓછામાં ઓછું ૧૪ દિવસનું લૉકડાઉન મૂકવું જોઈએ.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ