દેશમાં કોરોના વાઈરસથી મચી રહેલા હાહાકાર વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને રસીકરણની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવાની સલાહ આપી છે. અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં મંજૂર થયેલી રસીને ભારતે ઘરઆંગણે ટ્રાયલ વગર ઝડપથી મંજૂરી આપવી જોઈએ તેવું તેમણે સૂચન કર્યું છે. પૂર્વ પીએમ મનમોહન સિંઘે કહ્યું છે કે કોરોના પર કાબૂ માટે રસીકરણ મહત્વનું છે. કેટલા લોકોને રસી આપવામાં આવી છે તે આંકડો જોયા વગર એ બાબત પર ફોકસ કરવાની જરૂર છે કે દેશની વસતીના કેટલા ટકા લોકોને રસી મળી છે.
તેમણે કહ્યું કે સરકારે છ મહિના માટે રસીકરણનું આયોજન કરવું જોઈએ. આ રસી રાજ્યોમાં કેવી રીતે વિતરિત થશે તે અંગે જાણ કરવી જોઇએ. વિવિધ રસી ઉત્પાદકોને કેટલી રસીનો ઓર્ડર અપાયો છે તે અને છ મહિનામાં કેટલી રસીની ડિલિવરી કરાશે તે અંગે વિગત જાહેર કરવી જોઇએ. જો ટાર્ગેટેડ સંખ્યામાં લોકોને રસી આપવી હોય તો આપણે એડવાન્સમાં પૂરતા ઓર્ડર આપવા જોઇએ. જેથી રસી બનાવનારી કંપની સમયસર રસી સપ્લાય કરી શકે.
તેમણે કહ્યું કે સ્વદેશી રસીનો સપ્લાય ખૂબ જ મર્યાદિત છે. આવા સંજોગોમાં યુરોપીયન મેડિકલ એજન્સી અને યુએસએફડીએ જેવી વિશ્વસનીય એજન્સીઓએ જે રસીને મંજૂરી આપી છે તે રસી સ્થાનિક ટ્રાયલ વગર મંગાવવી જોઈએ. મર્યાદિત સમયગાળા માટે આમ કરવું જોઈએ. આ દરમિયાન ભારતમાં બાકીની રસીનું ટ્રાયલ પણ થઈ જશે.અન્ય સલાહમાં મનમોહને કહ્યું કે ‘સરકારે સંભવિત રસીનું વિતરણ રાજ્યોની વચ્ચે કેવી રીતે પારદર્શક ફોર્મ્યૂલાના આધારે કરાશે તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. સરકાર રાજ્યોને ૧૦ ટકા રસીની ઇમર્જન્સી ડિલિવરી કરી શકે છે અને બાકીની તબક્કાવાર આપી શકે છે.પૂર્વ પીએમે કહ્યું કે રાજ્યોને ફ્રંટલાઇન વર્કર્સની કેટેગરી નક્કી કરવાની મંજૂરી મળવી જોઈએ. રાજ્યો સ્કૂલ ટીચર, બસ, થ્રી વ્હીલર અને ટેક્સી ડ્રાઇવર્સ, મ્યુનિસિપલ અને પંચાયત કર્મીઓ અને વકીલોને રસી મુકાવા માગે છે. તેમના માટે તે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે. તો તેમની ઉંમર ૪૫ વર્ષથી ઓછી હોય તો પણ તેને રસી આપવાની છૂટ આપવી જોઈએ. પૂર્વ પીએમે એવું પણ કહ્યું છે કે છેલ્લાં કેટલાક દાયકામાં ભારત સૌથી મોટા રસી ઉત્પાદક તરીકે આગળ આવ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ