દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોંટિંગને વિશ્વાસ છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આ સિઝનમાં ટીમની કેપ્ટનશિપ કરનાર વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંતની રમતમાં નિખાર આવશે અને તે ધમાકેદાર પ્રદર્શન કરશે. ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર રિષભ પંતને આઇપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સે પોતાનો કેપ્ટન બનાવ્યો છે.
દિલ્હી કેપિટલ્સના નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર આઇપીએલ-૨૦૨૧થી બહાર થઇ ગયો છે. જેના પછી રિષભ પંતને આ જવાબદારી સોંપવામાં આવી છે. અય્યર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન-ડે સિરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. આ મામલે પોંટિંગે ટ્વીટ કરીને કહ્યું,’આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અય્યર ટૂર્નામેન્ટમાં રમી શક્શે નહીં, પરંતુ રિષભ પંત તેનો કેવી રીતે ફાયદો ઉઠાવે છે તે જોવા માટે હું ઉત્સુક છું.’
પોંટિંગે કહ્યું,’પોતાના તાજેતરના પ્રદર્શનનાં કારણે તે આનો હકદાર હતો અને તે આત્મવિશ્વાસથી ભરપૂર છે. મને વિશ્વાસ છે કે સુકાની પદ તેને વધુ સારો ખેલાડી બનાવશે.’ પોંટિંગે કહ્યું,યુવા પંત માટે તે સુવર્ણ અવસર છે, જેણે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કર્યું હતું. તેમા કોઇ શંકા નથી કે આથી તે કેપ્ટન પદ સંભાળ્યા બાદ તેનું મનોબળ વધશે.
કોચિંગ ગ્રુપ તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છે અને અમે આ સિરીઝની શરૂઆત થાય તેની રાહ જોઇ રહ્યા છીએ. પંતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં ૯૭ અને અણનમ ૮૯ રન બનાવ્યા હતા ઇને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં સદી ફટકારી હતી.