કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ આજે કેરાલામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે.અહીંયા તેમણે એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ.
જેમાં તેમણે કહ્યુ હતુ કે, કેરાલા એક જમાનામાં વિકાસ અને ટુરિઝમના મોડેલ તરીકે તેમજ સૌથી શિક્ષિત પ્રદેશ તરીકે દેશમાં જાણીતુ હતુ.જોકે એલડીએફ અને યુડીએફે રાજ્યને ભ્રષ્ટાચારાનો અડ્ડો બનાવી દીધુ છે.પોતાની જ પાર્ટીના માણસોને સરકારમાં હોદ્દાઓ પર ગોઠાવવા માટે પોતાનો સમય પસાર કર્યો છે.અહીંના પબ્લિક સર્વિસ કમિશનને રિમોટ કંટ્રોલથી આ પાર્ટીઓ ચલાવે છે.ડાબેરીઓની પાર્ટી સાથે જોડાયેલા ના હોય તેવા ઉમેદવારોને અહીંયા પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કર્યા પછી પણ નોકરી મળતી નથી.
શાહે કહ્યુ હતુ કે, જે રાજ્યમાં મુખ્યમંત્રી કાર્યાલય, તેમના મુખ્ય સચિવ અને મુખ્ય સચિવે પ્રમોટ કરેલી મહિલા સોનાની દાણચોરીમાં સામેલ હોય તેવા મુખ્યમંત્રીને ફરી ચૂંટવાનો કોઈ મતલબ છે ખરો? શાહે કહ્યુ હતુ કે ગોલ્ડ સ્કેમનો મુખ્ય આરોપી સીએમ કાર્યાલયમાં ફરજ બજાવતો હતો અને મહિને ત્રણ લાખનો પગાર લેતો હતો તે હકીકત છે.કેરાલાના હાઈવે માટે ૬૫૦૦૦ કરોડ રુપિયા મોદી સરકારે ફાળવ્યા છે.કોચી મેટ્રોના વિકાસ માટે ૧૯૫૭ કરોડ રુપિયા કેન્દ્ર સરકારે મોકલ્યા છે અને ૨૦૦૦ મેગાવોટની વીજળી યોજનાનુ ઉદઘાટન કર્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, કેરાલાના શહેરોને અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર ૧૧૦૦ કરોડના બજેટ સાથે કામ કરી રહી છે.કેરાલાના લોકો ભાજપને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. કારણકે હાલની સરકારથી લોકો પરેશાન છે.કોંગ્રેસ કન્ફ્યુઝ પાર્ટી છે અને તે કેરાલામાં ડાબેરીઓની સામે અને બંગાળમાં જોડે ચૂંટણી લડી રહી છે.
આગળની પોસ્ટ