રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારના પ્રયાસો હાલ પૂરતા નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. ગઈકાલે રાજ્યભરમાં ૧૫૬૪ કોરોનાના કેસો નોંધાયા, ૬ લોકોના મૃત્યુ થયા છે. તો તેની સામે ગઈકાલે ૯૬૯ લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાની આ લહેર ખતરનાક હોવાનું એક્સપર્ટસ કહી ચૂક્યા છે. તો સુરતમાં કોરોનાના સામાન્ય લક્ષણો પણ જોવા નથી મળી રહ્યાં છે. તાવ-શરદી, માથુ દુખવાના કોઈ લક્ષણો દર્દીઓમાં દેખાઈ નથી રહ્યાં. આવામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટમાં ઘટાડો થયો છે.
પ્રાપ્ત આંકડા અનુસાર, કોરોનાથી સાજા થવાનો દર ઘટીને ૯૬.૦૮% થયો છે. કોરોનાના કેસોની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો તેમજ તેની સામે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. રાજ્યભરમાં રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ કોરોનાના નવા દર્દીઓ સામે સ્વસ્થ્ય થનાર દર્દીઓની સંખ્યા વધારે નોંધાતી હતી. તે સમયે રાજ્યભરના રીકવરી રેટમાં વઘારો થઈ રહ્યો હતો. પરંતુ ફરી એકવાર સ્વાસ્થ્ય થતા લોકો કરતા નવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા, રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.