નવસારીમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાછોલી ગામ ખાતે કેરી ચોરવા જેવી સામાન્ય બાબતમાં જૂથ અથડાણ થઈ હતી.
બબાલ કરી રહેલા ટોળાને શાંત કરવા માટે પોલીસ પહોંચી હતી. જોકે, ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. ટોળાના પથ્થરમારામાં પીએસઆઈ, ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસ પર પથ્થરમારાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે કાછોલી ગામ ખાતે કેરી ચોરવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં લોકોના ઘરમાં તોડફોડ થઈ હતી.
આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટોળાને વિખેરવા માટે પહોંચી હતી. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હતો.પથ્થરમારામાં નાયબ જિલ્લા પોલીસ વડા એસ.જી.રાણા ઘાયલ થયા છે. એસ.જી. રાણા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના વેવાઈ છે. પથ્થરમારો દરમિયાન બીલીમોરા પીએસઆઈ કૌશલ વસાવાને પણ ઈજા પહોંચી હતી. જે બાદમાં પોલીસ ટોળાને વિખેરવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા.મળતી માહિતી પ્રમાણે નાયબ જિલ્લા પોલીસ વડાને પથ્થરમારા દરમિયાના માથામાં પથ્થર વાગ્યો છે. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટોળું પોલીસ પર પથ્થરમારો કરી રહ્યું છે. બીજી તરફ પથ્થરમારાથી બચવા માટે પોલીસકર્મીઓ આમતેમ ભાગી રહ્યા છે. બનાવ બાદ હવે પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.