અમરનાથ યાત્રા પર થયેલા હુમલામાં વધુ એક યાત્રિકનું મોત નિપજ્યું છે. હુમલા બાદ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં વલસાડના વતની લલીબેન ભગુભાઈ પટેલનું મોત નિપજ્યું છે. આ સાથે જ અમરનાથ યાત્રામાં મૃત્યુઆંક આઠ પર પહોંચી ગયો છે. સોમવારે ૧૦મી જુલાઈએ અમરનાથ યાત્રાળુઓ પર હિઝબુલના આતંકીઓએ હુમલા કર્યાં હતા જેમાં પાંચ મહિલા સહિત સાત લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે આજે વ્હેલી સવારે સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. આ હુમલામાં ૧૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અમરનાથ યાત્રા પર આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલાં મહિલાનું રવિવારે વ્હેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. ઈજાગ્રસ્ત થયાં બાદ મહિલાની સારવાર શ્રીનગરની હોસ્પિટલમાં ચાલી રહી હતી ત્યારે આજે સવારે તેમનું મૃત્યુ નિપજયું છે. પ્રાથમિક વિગત મુજબ મહિલાનું નામ લલીબેન ભગુભાઈ પટેલ છે જેમની ઉંમર ૪૭ વર્ષ છે. અને તેઓ વલસાડના રહેવાસી છે. લલીબેનના પાર્થિવ દેહને હોસ્પિટલથી એરપોર્ટ લઈ જવા રવાના કરી દેવામાં આવ્યો છે. લલીબેનના મૃતદેહને શ્રીનગરથી પ્લેનમાં દિલ્હી અને દિલ્હીથી સુરત એરપોર્ટ પર લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોડી સાંજ સુધી લલીબેનનો પાર્થિવદેહ વલસાડ પહોચે તેવી શક્યતા છે.