સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન બન્યા છે તો ગોહિલવાડમાં ખેડૂતો સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ભાવનગરમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર છે. ખેડૂતોએ ખેતરોમાં વાવણીનો પ્રારંભ તો કરી દીધો છે, પરંતુ સારા વરસાદ ન થવાથી પાક બળી જવાની દહેશત ખેડૂતોમાં ઉભી થઈ છે.
ખેડૂતોનું કહેવુ છે કે, આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. ખેતરોમાં જે મોલાતો ઉભી છે તેને બચાવવા ખેડૂતો સાથે મોટો પડકાર છે.
કુદરતની સામે કાળા માથાનાં માનવીનું કંઈ ચાલતું નથી ત્યારે જગતનો તાત નિસાસો નાખી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. ભાવનગરમાં વરસાદ ન પડતાં લોકોની સાથે ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.