સામાન્ય રીતે નજીવી બાબતમાં પતિ કે પત્ની એકબીજાની હત્યા કરાવતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના અમરેલીમાં બની છે જેમાં પત્નીએ પતિની હત્યા કરાવવા માટે દોઢ લાખ રૂપિયાની સોપારી આપી હતી.અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઠવીમાં ચાર માસ પહેલા યુવાનની પુલ નીચેથી લાશ મળી આવી હતી. જેમાં મૃતકની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય પ્રેમી એવા મૃતકના સાઢુભાઇ સાથે હત્યા નિપજાવ્યા બાદ લાશને પુલ નીચે ફેંકી દીધો હોવાનો પર્દાફાશ થતાં અને મૃતકની પત્નીએ જ રંગરેલીયા મનાવવામાં નડતરૂપ એવા પતિની હત્યા માટે દોઢ લાખમાં પોતાના પ્રેમીઓને સોપારી આપી હોવાનું ખુલ્યું હતું.
આ ઘટના અંગે મળતી માહિતીપ્રમાણે મૃતકના ભત્રીજા બાબુ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મજબુ સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે રહેતા ૪૦ વર્ષીય નરશીભાઇ ભાટુભાઇ વાઘેલા ગત તા. ૨૦-૧૧-૨૦૧૮ના સાંજના આઠ વાગ્યા પછી ઘરેથી ચાલ્યા ગયા બાદ ત્રણ દિવસ પછી તા. ૨૩-૧૧ના સાવરકુંડલાના મોટાભમોદ્રા ગામ નજીકથી વેકરિયા નદીના પુલ નીચેથી તેમની પશુઓએ ફાડી ખાધેલી હાલતમાં લાશ મળી હતી.પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરીને પુલ ઉપરથી પડી જવાના કારણે ઇજાઓ થવાથી મોત થયાનું મૃતકના સગાઓ દ્વારા પોલીસ મથકે જાહેર કરવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટ મુજબ હેમરેજ થવાના કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં તેની હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું.નરશીભાઇની પત્ની નયનાબેનને પાલીતાણામાં રહેતા પ્રકાશ વલ્લભ પરમાર સાથે આડો સંબંધ હતો અને પાલીતાણામાં જ રહેતા મૃતકના સાઢુભાઇ દિનેશ ખોડા પરમાર અને ઇમરાન મુસા લાખાણી સાથે પણ આડો સંબંધ હતો. આ અંગેની નયનાના પતિને જાણ થઇ જતાં તેણે નડતરુપ પતિનું કાસળ કાઢવા માટે પોતાના પ્રેમીઓને દોઢ લાખની સોપારી આપી હતી. ત્રણે આરોપીઓએ ગતા. ૨૦ના રોજ સાંજના આઠ વાગ્યાના અરસમાં લાકડી વડે હત્યા નિપજાવીને બાદમાં લાશને પૂલ નીચે ફેંકી દીધી હતી. અને ઘટનાને અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.મૃતકના પત્ની નયનાબેને તેના પતિ ઘરેથી ગાયબ થઇ ગયા હોવાની વાત ઉપજાવી કાઢી હતી અને ઘરમાથી લોહીના પુરાવાનો પણ સીફત પૂર્વક નાશ કરી દીધો હતો. બાદમાં તેમની લાશ મળી હતી પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે.