અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભારે વરસાદ બાદ સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરી છે જેના પગલે આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૫૮ ટન જેટલા માટી-કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાદવ-કીચડને સાફ કરવા માટે ૩૮ જેટલા જેસીબીની સાથે ૨૩ જેટલા બોબકેટ,૯૭ ડમ્પર,૧૭૪ જેટલા ટ્રેકટર મળીને કુલ ૩૫૦ જેટલા વાહનો સાથે માટી,કાદવનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના કુલ ૧૭૯ નમુના લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે જયારે ૨૧૪ જેટલી નોટિસ આપવામાં આવી છે.દરમિયાન શહેરના છ ઝોનની અંદર અત્યાર સુધીમાં કુલ મળીને ૧૫૭૬૦ જેટલા ઘરોમાં ફોગીંગની કામગીરી તંત્ર દ્વારા કરીને ૭૯૪ લીટર મેલેરીયા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો છે.ફોગીંગની કામગીરી માટે કુલ ૧૨ વાનફોગ અને પાંચ લીકો મશીન તેમજ વધારાના ડીલક્ષ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.હેલ્થ વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર,તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર શંકાસ્પદ મેલેરીયા તેમજ ડેન્ગ્યુ તાવના નમુનાઓ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત શહેરની ૧૬૫ જેટલી ખાનગી હોસ્પિટલોમાંથી પણ રિપોર્ટ મેળવવામાં આવી રહ્યા છે.