ઉલ્લેખનીય છે કે મકરસંક્રાંતિ નિમિત્તે દાન પુણ્યનું એક અનેરૂ મહત્વ છે. ઉત્તરાયણ આપણાં દેશમાં અલગ અલગ રીતે ઉજવાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેમજ સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ દિશામાં પ્રયાણ કરે છે. આ દિવસોમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્વનું છે, કહેવામાં આવે તો આ દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ, ખીચડી, મીઠું, ગોળના લાડુ, ઘી વગેરેના દાનનું મહત્વ છે પરંતુ વિશેષમાં ગાયને કંકુનું તિલક કરી ગોળ તેમજ ઘાસચારાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોય છે એમ આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે તેથી આ દિવસોમાં ગાયના ઘાસચારાની સેવા કરવાથી ૩૩ કરોડ દેવતાઓના આશીર્વાદ મળે છે. આપણાં ધર્મશાસ્ત્રની અંદર મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ થતા તે સમયે જે દાન – પુણ્ય કરવામાં આવે તેનું અનેકગણું પુણ્ય લોકોને પ્રાપ્ત થાય છે. આવા પવિત્ર પુણ્ય પ્રાપ્તિના અવસરે પોતાના ધંધા – રોજગાર છોડીને ગાયોની સેવા માટે માલધારી સમાજના યુવાનો દ્વારા લીંબડી મહાજન પાંજરાપોળની ગાયો માટે ઘાસચારા પેટે દાન એકત્રિત કરી મહાજન પાંજરાપોળમાં પશુઓના ઘાસચારા માટે વ્યવસ્થા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ લીંબડીના યુવાનો દ્વારા આવી સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહ્યા છે. દાન-પુણ્ય સેવા, સમાજ સેવા, લુલી લંગડાતી ગાયો તથા અન્ય પશુ પંખીઓની સેવામાં પણ લીંબડીના યુવાનો ઉત્સાહભેર આગળ આવી રહ્યા છે. અબોલ જીવના ભરણ પોષણ માટે યુવાનો અગ્રેસર રહીને વધુમાં વધુ ઘાસચારા ભેટ આપી રહ્યા છે, આના જ કારણે લીંબડી મહાજન પાંજરાપોળમાં ગાયોની સેવા ઉત્તમ પ્રકારે થઈ રહી છે. લીંબડી મહાજન પાંજરાપોળમાં ૩૦૦૦થી વધુ ગાયોની સેવા કરી રહ્યા છે, જેનો રોજનું નિભાવ ખર્ચ અંદાજિત એક લાખ રૂપિયાની આસપાસ છે, દરેક સેવાભાવી સંગઠનો અગ્રેસર રહીને આવા ઉમદા કાર્યમાં આગળ આવી રહ્યા છે. લીંબડી માલધારી યુવા સંગઠન દ્વારા ગત વર્ષે ૩ લાખ થી વધારે રૂપિયા એકઠા કરી લીંબડી મહાજન પાંજરાપોળમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે પણ આ માલધારી યુવા સંગઠન દ્વારા વધારેમાં વધારે ફાળો એકઠો કરવા માટે ઉદાર હાથે અબોલ જીવોના માટે દાન એકત્ર કરવા હાકલ કરાઈ છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)