Aapnu Gujarat
Uncategorized

ભાવનગરના કોબડી ટોલ નાકા પર ઉઘાડી લૂંટ !!!

સોમનાથના નિર્માણધીન હાઇવેના કામમાં ખાસ પ્રગતિ નથી અને હયાત રસ્તો મસમોટા ખાડા ટેકરાથી ભરપૂર છે છતાં કોબડી ટોલ નાકા પર ટેક્સ વસૂલાત શરૂ કરી દેવાઇ તે ઉઘાડી લૂંટ જ છે તેવો સાર્વત્રિક સુર આજે ટોલટેક્સ મામલે મળેલી બેઠકમાં ઉઠ્યો હતો અને આ અન્યાયી મામલે દિસ્તરીય લડત આપવા નક્કી થયું હતું જે રોડ જ નથી તેનો ટેક્સ વસુલવાનું શરૂ થવા છતાં પ્રજાના પ્રતિનિધિઓએ વ્હારે આવવાના બદલે મોં ફેરવી લેતા હવે ભાવનગર વકીલ મંડળના આગેવાનોએ લડતના શ્રી ગણેશ કર્યા છે અને બુધેલ ખાતે એક બેઠક બોલાવી રણનીતિ ઘડવામાં આવી હતી. નેશનલ હાઇવે હજુ નિર્માણધીન છે અને ખાસ પ્રગતિ નથી છતાં ટોલના નામે વાહન ચાલકો પાસેથી પૈસાની વસુલાત શરૂ કરી દેવાઇ છે. આથી વાહન ચાલકોમાં ભારે રોષ છે. સોમનાથના હયાત નેશનલ હાઈવેની હાલત ખૂબ દયાજનક છે. ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે વાહનોને નુકશાન થઈ રહ્યું છે, મુસાફરોના હાડકા પણ ખોખરા થઈ રહ્યા છે. સાથે સમય અને ઇંધણનો વપરાશ ડબલ થઈ ગયો છે છતાં રસ્તાના ખાડા પુરવાના બદલે નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા ટોલ ટેક્સ ઉઘરાવવા લીલીઝંડી આપી દઈ ઘર્ષણ અને વિવાદને આમંત્રણ અપાયું છે. નવો હાઇવે હજુ ક્યાંક ક્યાંક બન્યો છે અને ટુકડે ટુકડે જ વાપરવા મળે છે છતાં તેના ટોલની વસુલાતની મંજૂરી આપી દઈ સરકારી તિજોરી ભરવા પ્રજાના ખિસ્સા પર સીધી તરાપ મારવામાં આવી હોવાની લાગણી પ્રવર્તે છે. આ મામલે ટોલનાકા પર વાહન ચાલકો રોષ પ્રદર્શિત કરતા નજરે પડે છે અને ઘર્ષણ તથા વિવાદના દ્રશ્યો કાયમી બન્યા છે. બીજી બાજુ ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્યોએ મૌન ધારણ કરી લેતા તેઓ માત્ર તમાશો જોતા હોય તેવી લોકોને પ્રતીતિ થઈ રહી છે. આખરે આ મુદ્દે ભાવનગર વકીલ મંડળના આગેવાનો અનિરુદ્ધસિંહ ઝાલા (બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રૂલ્સ કમિટીના ચેરમેન), ભાવનગર વકીલ મંડળના પ્રમુખ હિરેનભાઈ જાની, પૂર્વ પ્રમુખ બી.એલ.જોષી, સેક્રેટરી અનિલસિંહ જાડેજા, આર.સી. ચૌહાણ, ઓમદેવસિંહ ગોહિલ વિગેરેની અધ્યક્ષસ્થાને આજે બુધેલ ખાતે કાનૂની લડત માટે એક બેઠક મળી ગઈ જેમાં અલંગ ટ્રક એસોસિએશન, ઇકો કાર ધારકો, અન્ય ખાનગી વાહન ધારકો, આજુબાજુના ગામના સરપંચો, આગેવાનો એકત્ર થયા હતા અને રોડની સુવિધા વગર ટેક્સ ઉઘરાવાની આ પ્રવૃત્તિ ઉઘાડી લૂંટ હોવાનો સૌ કોઈનો સુર હતો અને આ બાબત વખોડી ગાંધી ચીંધ્યા માર્ગે તેમજ કાનૂની રાહે લડત ચલાવવા નીર્ધાર થયો હતો.“આ અંગે લડત હાથ ધરનાર ધારાશાસ્ત્રી અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું કે, હયાત રોડની હાલત ખખડધજ છે, સર્વિસ રોડ બંધ કરી દેવાયો છે, હજુ નેશનલ હાઇવે બન્યો નથી આ સહિતના પ્રશ્નો છે ત્યારે ટોલ ટેક્સની વસુલાત કેમ થઈ શકે.? આજુબાજુન ગામોને ટોલમાંથી મુક્તિ મળવી જોઈએ, કાયમી અવર જવર કરતા સ્થાનિક વાહનોને પણ રાહત મળવી જોઈએ. આ ઉપરાંત સરકારી સેવા અને કાનૂની કામે રોકાયેલા ધારાશાસ્ત્રીઓ માટે પણ અલગ વ્યવસ્થા હોવી જોઈએ. આ સહિતની બાબતોએ પ્રથમ લેખિત રજુઆત કરી સત્વરે ટોલનું ઉઘરાણું બંધ કરવા માંગ કરવા તેમજ સોમવારે પિટિશન દાખલ કરી પૂર્ણ સુવિધા નહિ ત્યાં સુધી ટોલ ઉઘરાવવા પર પ્રતિબંધ મુકવા સ્ટે માંગવામાં આવશે. અન્યાયી મુદ્દે ગાંધી ચીંધ્યા અને કાનૂની રાહે એમ બંને સ્તરે તબકકવાર લડત આગળ ધપાવાશે તેમ વધુમાં જણાવ્યું હતું.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

Old Custodial death case : Ex-IPS officer Sanjiv Bhatt sentenced to life imprisonment

aapnugujarat

કરૂણા મહિલા મંડળની બહેનો દ્વારા આર્મી ટ્રેનિંગ લઈ રહેલાં દલિત યુવાનોને રાસન અને રોકડની સહાયતા

aapnugujarat

विपक्ष द्वारा म्युनि ओफिस में मटकिया फोड़कर विरोध प्रदर्शन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1