ગુજરાત કોંગ્રેસના નેતાઓના GST અંગેનાં બેબુનીયાદ તથા ઉશ્કેરણીજનક નિવેદનોના તીવ્ર પ્રત્યાઘાત આપતાં ભાજપાના પ્રદેશ પ્રવકતા શ્રી ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ નહિ પરંતુ જે તે સમયે કોંગ્રેસની રાજય સરકારો સહિત અન્ય વિપક્ષોની રાજય સરકારોએ પણ રાજયોને થતા અન્યાય તેમજ અનેક વિસંગતતાઓ અને અધૂરી જાગવાઈઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના GST ડ્રાફટમાં રાજયોની આવકમાં થતાં નુકસાનના વળતર માટેની કોઈ નિશ્વિત જાગવાઈ નહોતી. જયારે હાલના બિલમાં રાજય સરકારોને પાંચ વર્ષ સુધીની આવકની ગેરંટી આપવામાં આવેલ છે. તે સમયની કેન્દ્રની કોંગ્રેસ સરકાર તેમજ ચિદમ્બરમ ઉપર કોંગ્રેસની જ રાજય સરકારને ભરોસો નહોતો ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ નાણાંમંત્રીશ્રી અરૂણ જેટલીજી પર દેશની તમામ રાજય સરકારોએ ભરોસો મૂકી સંપૂર્ણ વિશ્વાસ વ્યકત કર્યો છે.
શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, સંસદના બંને ગૃહોમાં કોંગ્રેસે આ બિલને ટેકો આપ્યો છે જયારે હવે કેન્દ્ર અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ “વન નેશન – વન ટેક્ષ – વન માર્કેટ” એવા ઐતિહાસિક GST બિલની વિરુધ્ધમાં વેપારીઓ તેમજ પ્રજાને ઉશ્કેરવાનો નિરર્થક પ્રયાસ કરે છે. શું કોંગ્રેસ વેપારીઓ અને ગ્રાહકો અનેક પ્રકારના ટેક્ષના જાળામાંથી મુકત થાય તેવું ઈચ્છતિ નથી ? કોંગ્રેસ સંસદના બંને ગૃહોમાં આ બિલને ટેકો આપે અને સંસદની બહાર તેનો વિરોધ કરીને બે મોઢાની વાત કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓના GST પરના નિવેદનો તે માત્રને માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે ઉશ્કેરણી કરનારા છે. GST કાઉન્સીલની ૧૮ વખત થયેલી બેઠકોમાં અનેક પ્રકારના સુધારા-વધારા, ચર્ચા-વિચારણા તેમજ પરામર્શ થયા બાદ આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. GST કાઉન્સીલમાં કોંગ્રેસ સહિત તમામ રાજય સરકારોના નાણામંત્રીઓ પણ સભ્ય તરીકે સામેલ છે ત્યારે કોંગ્રેસના નાણામંત્રીઓ અને કેન્દ્રના કોંગ્રેસના નેતાઓએ સંસદમાં તેનો વિરોધ કેમ ના કર્યો ? કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોઓએ સંસદમાં આ બિલને ટેકો આપી સર્વાનુમતે પસાર કર્યું છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો સહિતની તમામ રાજય સરકારોએ પોતાના વિધાનસભા ગૃહમાં આ બિલને પસાર કરી કેન્દ્ર સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ બિલને તમામ રાજકીય પાર્ટીઓએ ઐતિહાસિક ગણાવ્યું છે, દેશની જનતાએ સહર્ષ સ્વીકાર્યું છે. તેથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉશ્કેરણીજનક નિવેદનો બંધ કરીને ગુજરાતના વિકાસ, શાંતિ તેમજ એકતા અવરોધો ઉભા કરવાનું બંધ કરે, તેમ શ્રી પંડ્યાએ અંતમાં જણાવ્યું છે.