પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં ગત દિવસોમાં ચીનના નાગરિકો પર જીવલેણ હુમલો થયો. અત્યાર સુધી ગ્વાદરમાં સીપીઈસી અંતર્ગત બની રહેલા ચીની નેવલ બેઝ અને ડીપ સી પોર્ટનો વિરોધ કરનારા બલોચ વિદ્રોહી બળવાખોરો શહેરોમાં પણ ચીની નાગરિકોને નિશાન બનાવવામાં લાગ્યા છે. એટલું જ નહીં, હમણા જ બલુચિસ્તાન બલોચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના ૭ સૈનિકોને માર્યા છે. બલોચોના વધતા હુમલાથી ટેન્શનમાં આવેલી પાકિસ્તાની સેના અને વડાપ્રધાન ઇમરાન ખાન હવે ગ્વાદરને કાંટાળા તારની દીવાલથી સીલ કરવામાં લાગ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે બલોચ વિદ્રોહીઓએ પોતાની રણનીતિ બદલતા હવે દેશના શહેરો વિસ્તારોમાં બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ, ચીનના રોકાણ અને ચીની નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
ગત મંગળવારના કરાચીના બહારના વિસ્તારમાં એક કાર શૉરૂમની અંદર એક ચીની નાગરિક અને તેના સહયોગી પર બંદૂકથી જીવલેણ હુમલો થયો હતો. આમાં તે બચી ગયા હતા. એક અઠવાડિયા પહેલા ચીની નાગરિકની કારને કરાચીના પૉશ ક્લિફ્ટન વિસ્તારમાં રેસ્ટોરન્ટની બહાર વિસ્ફોટ કરીને ઊડાવી દેવામાં આવી હતી. આ બંને હુમલાની સિંધુદેશ રિવોલ્યૂશનરી આર્મીએ જવાબદારી લીધી હતી. સિંધુદેશ રિવોલ્યૂશનરી આર્મીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ચીન અને પાકિસ્તાન જબરદસ્તી ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડોર અંતર્ગત જમીનો પર કબજો કરી રહ્યા છે. અમે તેમને નિશાન બનાવવા માટે હુમલો કરતા રહીશું. ચીન સીપીઈસી હેઠળ પાકિસ્તાનમાં ૧૫૦ અબજ ડૉલરનું રોકાણ કરી રહ્યું છે.
સીપીઈસી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રૉડનો સૌથી મહત્વનો ભાગ છે. આના દ્વારા ચીનની પહોંચ અરબ સાગર સુધી થઈ જશે. ચીન અને પાકિસ્તાનની આ નાપાક યોજનાનો બલોચ લોકો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન સરકાર આ વિસ્તારના પ્રાકૃતિક સંસાધનોને નીકાળીને પંજાબના લોકોની તિજોરી ભરી રહી છે. સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે બલોચ બળવાખોરોએ કરાચીને પોતાનો અડ્ડો બનાવી દીધું છે. જ્યાંથી તેઓ ચીની નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. ૨૦૧૮માં આ સંગઠન પર કરાચીમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલાના આરોપ પણ લાગ્યા હતા.
આગળની પોસ્ટ