કરતારપુર સ્થિત ગુરુદ્વારા સાહિબના મુદ્દે મંગળવારે પાકિસ્તાન અને ભારતના અધિકારીઓ વચ્ચે કોરિડોરને લઈને ટેક્નિકલ મીટિંગ મળી હતી. કરતારપુર કોરિડોરની નિર્માણ પ્રક્રિયાને લઈને કેટલીક ટેકનિકલ બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કરતારપુર (ઝીરો પોઈન્ટ) ખાતે આ બેઠક મળી હતી, જેમાં બન્ને દેશોના ટેકનિકલ નિષ્ણાતો તેમજ વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા. કરતારપુર કોરિડોર પાસે બોર્ડર પર તારની વાડ અને રોડની ડીઝાઈન અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
કરતારપુર કોરિડોર નિર્માણ માટે ભારત અને પાકિસ્તાને ગત નવેમ્બરમાં સહમતિ દર્શાવી હતી. આ કોરિડોર કરતારપુર સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબ, જે શિખ ધર્મગુરૂ ગુરુ નાનાક દેવના સમાધિ સ્થળ છે, તેને ગુરદાસપુર ખાતે આવેલા ડેરા બાબા નાનક સાથે જોડે છે.
પાકિસ્તાન રેન્જર્સના અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે બેઠક યોજાઈ હતી અને પાકિસ્તાન વિદેશ મંત્રાલય અથવા પાકિસ્તાન મિલિટરીની મીડિયા પાંખ ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન (ૈંજીઁઇ) દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે.
આ પહેલા ભારતે ૨ એપ્રિલના રોજ યોજાનાર કરતારપુર કોરિડોર બેઠક મોકુફ રાખી હતી. ભારત અને પાકિસ્તાનના ટેક્નિકલ નિષ્ણાતોએ ૧૯ માર્ચના બેઠક યોજી હતી જેમાં કોરિડોર અંગે પ્રાથમિક બાબતોની ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં નિષ્ણાતો, ઈજનેરો અને નિરીક્ષકો હાજર રહ્યા હતા.
પાકિસ્તાન કેબિનેટે કરતારપુર કોરિડોર મામલે ૧૦ સભ્યોની પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું ગઠન કર્યું હતું જેમાં ખાલિસ્તાની અલગતાવાદીઓનો સમાવેશ કરાતા ભારતે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.