પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા કોંગ્રેસ મુખ્યાલય ખાતે સરકાર દ્વારા પસાર આવેલા કૃષિ બિલ કાયદાની સામે જનજાગૃતિ લાવવાના વિવિધ મુદ્દાઓને લઈને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કૃષિ બિલના કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે જે ત્રણ બિલ પાસ કરવામાં આવ્યાં છે જે ખેડૂતો માટે અન્યાયકર્તા છે. દિલ્હી, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોના ખેડુતો ધરણા પર ૨૬ દિવસથી બેઠા છે, તેમના સમર્થનમાં તેમને ન્યાય મળે તે માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ખેડૂતો અને આમ જનતાને ખ્યાલ આવે. તેમણે ઉમેર્યુ કે આ કાળો કાયદો છે, જ્યારે અમલ થશે ત્યારે લાંબા ગાળે તેની અસર થવાની છે. ખાસ કરીને ખેડુતોને એમએસપી અને લોકોને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ મળવા જોઈએ તે મળવાના નથી. ખાસ કરીને જે સહકારી માળખું બજાર સમિતિઓ, સહકારી બેંકો, શુગર મિલો, કોટન મિલો, કોટન ખરીદી કરતી સંસ્થાઓને અસર થશે. આ પ્રાઇવેટ કોર્પોરેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપતો કાયદો છે. ખેડૂતોને ન્યાય મળે તેવો નથી. દિલ્હીમાં આંદોલન કરતાં ખેડુતોના સર્મથનમાં તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને આ કાયદાથી તેમના પર શું જોખમ ઉભુ થવાનું છે તેની ખબર છે. આથી તેનો ખ્યાલ રાખીને તેઓ આદોલન કરી રહ્યા છે. આ કાયદાથી આમ જનતા પણ મુશ્કેલીમાં મૂકાશે. ખેડુત સંગઠન સાથે બેસીને ખેડૂતોના હિતમાં કાયદાનો સુધારો કરવો જોઈએ. અન્ય રાજયો સિવાય ગુજરાતમાં આ ખેડૂત આંદોલનની અસરના પ્રશ્નના જવાબમાં રાઠવાએ ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મિટિંગ થઈ છે પણ હજી આ બાબતનો ખેડુતોને ખ્યાલ આવતો નથી તેવું મને લાગે છે, જ્યારે અમલ થશે તેની અસર થશે. ભણેલા ગણેલા ખેડૂતોને આનો ખ્યાલ આવી ગયો છે અને કેટલાક ખેડૂતો દિલ્હીમાં તુટક તૂટક જઈ રહ્યા છે પણ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેનો પણ ખેડુતોમાં ભય છે પણ હાલ વિરોધ શેનો ચાલી રહ્યો છે તેની ખેડૂતોને ખબર પડી ગઈ છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)