ઇન્ડિયન ક્રિકેટના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ન રમે એવી સંભાવના છે. જાડેજાને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ્-૨૦ સિરીઝની પહેલી મેચમાં કેનબરા ખાતે હેમસ્ટ્રિંગની ઇજા થઇ હતી તેમજ તેને મેચની છેલ્લી ઓવરમાં સ્ટાર્કની બોલિંગમાં માથામાં પણ બોલ વાગ્યો હતો. નોંધનીય છે કે માથામાં ઇજા થઇ હોઈ તેને કન્કશન ઇન્જરી કહેવામાં આવે છે.
૩૨ વર્ષીય જાડેજા ૫૦ ટેસ્ટના માઈલસ્ટોનથી માત્ર ૧ ટેસ્ટ દૂર છે. તે ૧૭ ડિસેમ્બરથી એડિલેડ ખાતે શરૂ થનાર પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં નહિ રમે એવી સંભાવના વધારે છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રોટોકોલ અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને માથામાં બોલ વાગે એ પછી તેને ૭થી ૧૦ દિવસ આરામ કરવો જરૂરી છે. જાડેજાને ૪ ડિસેમ્બરના રોજ માથામાં બોલ વાગ્યો હતો. એનો મતલબ કે જડ્ડુ ૧૧ ડિસેમ્બરે સિડની ખાતે થનારી ડે-નાઈટ પ્રેક્ટિસ મેચમાં રમી શકશે નહીં. તેવામાં ટીમ મેનેજમેન્ટ તેને મેચ પ્રેક્ટિસ વગર ૧૭ ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટમાં રમાડે એવી સંભાવના બહુ ઓછી છે.