સમગ્ર વિશ્વને માનવતાનો સંદેશ આપનાર તથા સમાનતા, બંધુતા, અને સ્વાતંત્ર્યતાનો બોધ શીખવનાર મહામાનવ ભારતીય બંધારણના ઘડવૈયા, વંચિતો, પિડિતો, શોષિતોના મસીહા એવા ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૪માં મહા પરિનિર્વાણ દિન નિમિતે મહેસાણા સહિત વિસનગર, વડનગર,ઉંઝા, કડી તથા નંદાસણ મુકામે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
મહેસાણામાં ટાઉનહોલ સામે આવેલી ડૉ. બી.આર. ઑબેડકરની પ્રતિમાને મહેસાણાની વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ સમગ્ર મહેસાણાની જાહેર જનતા દ્વારા ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. મહેસાણા ખાતે ટાઉનહોલની સામે આવેલ ડૉ. બાબાસાહેબની પ્રતિમાને મહેસાણા નગરપાલિકાના પ્રમુખ નવીન પરમાર, મહેસાણા જિલ્લા અનુ.જાતિ સેલના પ્રમુખ ડૉ. નરસિંહદાસ વણકર, પૂર્વ મંત્રી ઈશ્વર મકવાણા, અનુ.જાતિ નિગમ ગાંધીનગરના પૂર્વ ચેરમેન રમેશ સોલંકી, પ્રદેશ મંત્રી સી.ડી.પરમાર ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ મહેસાણાની જાહેર જનતા દ્વારા ફુલહાર અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાજલી આપવામાં આવી હતી.
(અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)