પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં દર શનિવારે ભરાતા હાટબજારમાં પાલિકાના અધિકારીઓની ટીમ ત્રાટકતા વેપારીઓમાં અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. પંચમહાલ જીલ્લાનું શહેરા નગર વેપારી મથક છે. વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે વેપાર – ધંધાને પણ અસર પહોંચી છે. શહેરા નગરમાં આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે વર્ષોથી શનિવારી બજાર ભરાય છે જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ સાથે સાથે પશુ હાટ ભરાય છે જેમાં આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ બકરા, મરઘા લઇને વેચવા આવે છે જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન થવાની શકયતા તેમજ કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો હતો. શહેરા પાલિકા તંત્ર દ્વારા આ પરિસ્થિતિને લઈ શનિવારે હાટ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો છતાં પાલિકાના આદેશને ધોળીને પી ગયા હોય તેમ શનિવારે કેટલાંક વેપારીઓ આદેશને અવગણીને મરઘા-બકરા તેમજ અન્ય ચીજ વસ્તુઓ વેચવા આવી ગયા હતા અને ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. શહેરા નગરપાલિકાના અધિકારી જીતેન્દ્રસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ સાથે માર્કેટીંગ યાર્ડ તેમજ નાડા બાયપાસ રોડ પર આવી પહોંચ્યો હતો અને વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પાલિકાની ટીમ આવતા કાર્યવાહી કરતા ખાસ તો મરઘા – બકરા વેચનારાઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરતા ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામા આવ્યો હોવાનું પાલિકા સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)