ગુજરાત રમખાણો સમયે બિલકિસ બાનો નામની ગર્ભવતી મહિલા પર ગેંગરેપ ગુજારનારા અપરાધીઓને ગુજરાત સરકારે ૧૫મી ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત કરતા આ મામલો ફરી ગરમાયો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ઓગસ્ટના અંતિમ સપ્તાહે સુપ્રીમ કોર્ટના તે સમયના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કહ્યું છે કે અમે આ અરજીની સુનાવણી કરવા અંગે વિચારીશું.
આજે મળતી માહિતી પ્રમાણે સુપ્રિમ કોર્ટે આ અરજીનું લિસ્ટિંગ કર્યું છે અને કેસને ૯મી સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી છે. ૨૫મી ઓગસ્ટે ૩ જજોની બેચે આરોપીની મુક્તિ સામે કરેલ અરજીની સુનાવણી માટે તૈયારી દર્શાવી હતી અને આજે કોર્ટે ૯મી સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે તેમ કહ્યું છે.
ગુજરાત સરકારના અપરાધીઓને છોડી મુકવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલ અને અપર્ણા ભટ દ્વારા કરવામાં આવી છે.
ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જે દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે બિલકિસ બાનો તે સમયે ગર્ભવતી હતી, છતા તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૮માં બધા જ ૧૧ અપરાધીઓને ઉમર કેદની સજા આપવામાં આવી હતી.
આ અપરાધીઓએ ૧૫ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હતો. હાલમાં ૧૫મી ઓગસ્ટના રોજ અચાનક જ ગુજરાત સરકારે આ અપરાધીઓને જેલમાંથી છોડી મુક્યા હતા. જેને પગલે ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ થઇ રહ્યો છે.
હવે આ મામલે સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરવા માટે તૈયાર થઇ છે.
પાછલી પોસ્ટ