કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં વિનાશ વેતર્યા બાદ હવે ફરી આ કોવિડ-૧૯ વાયરસ ફૂંફાળા ન મારે તે માટે સરકાર અને દવા બનાવતી કંપનીઓ ઝડપથી વિવિધ વેક્સિનની શોધ કરી રહ્યાં છે. આજે ભારતની પ્રથમ નેઝલ કોરોના વેક્સિનને રેગ્યુલેટરે મંજૂરી આપી છે.
ભારતને અત્યાર સુધીની સૌથી ભયાનક મહામારી માટેની પ્રથમ નેઝલ વેક્સિન મળી ગઈ છે. ૧૫ ઓગસ્ટે કંપનીએ જાહેરાત કરી હતી કે આ વેક્સિનનું ત્રીજું અને અંતિમ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતુ.
ભારત બાયોટેકની દેશની પ્રથમ નાકથી આપવાની થતી કોરોના રસી, બીબીવી-૧૫૪ને આજે ડીજીસીઆઈએ મંજૂરી આપી છે. જોકે આ નેઝલ વેક્સિન કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે.
બીબીવી૧૫૪ વેક્સિસન પરીક્ષણમાં સુરક્ષિત, સહન કરી શકાય એવી અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય દર્શાવવામાં આવી છે. આ નાકની રસી ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે.બીબીવી-૧૫૪ નેઝલ વેક્સિન પ્રથમ અને બીજા ક્લિનિકલ ટ્રાયલમાં સફળ થઈ હતી અને આઝાદીની ૭૫મી વર્ષગાંઠના પાવન પર્વ પર ત્રીજા ટ્રાયલમાં પણ સફળ થઈ હતી. દેશમાં જે લોકો અગાઉ પ્રથમ અને બીજી રસી મેળવી ચૂક્યા હતા, તેમાં ત્રીજા અથવા બૂસ્ટર ડોઝ તરીકે આ ત્રીજા ટ્રાયલ પેટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્રીજા તબક્કાના રસીના ટ્રાયલનો ડેટા માનવ ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીને મોકલવામાં આવ્યા હતો જેને આજે આધિકારીક મંજૂરી મળી છે એટલેકે હવે આ રસી કોરોના સામેની લડતમાં નાક દ્વારા બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાશે.