હિંમતનગરના ગોગાનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ આજે સવારે નદીમાં ચારેક માસના મૃત ભ્રૃણને દફનાવતા બે લોકોને ઝડપી લીધા હતા સ્થાનિકોને શંકા જતા તેમણે આ બાબતે સાબરકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારી અને સાબરકાંઠા પોલીસને જાણ કરતા પોલીસ અને આરોગ્યની ટીમ ત્યાં આવી પહોંચી અને આ અંગેેની તપાસ શરૂ કરી હતી. આ બંને કર્મચારી હિંમતનગરની હર્ષ ગાયનેક હોસ્પિટલમાંથી આ મૃત બાળકીના ભ્રૃણને અહીં દાટવા માટે આવ્યા હોવાનું કબુલ્યું હતું. ભુતકાળમાં પણ આવી જ રીતે ત્રણથી ચાર વખત મૃત ભ્રૃણને કુતરા નજીકના સોસાયટી વિસ્તારમાં ખેંચી લાવ્યાં હતાં ત્યારે આ બાબતે રહીશોમાં ભારે આક્રોશ જોવા મ ળ્યો હતો. આજે આવી ઘટના બનતા સ્થાનિકોએ પોલીસને બોલાવી દીધી હતી. જોકે બાદમાં આ બાબતે હર્ષ હોસ્પીટલના ડૉ. હિતેશ પટેલને વાત કરતા તેમણે અધૂરા માસે મૃત બાળક અવતરતા તેને દફનાવવાની કોઈ ગાઈડ લાઈન ના હોવાથી આ બાળકને હાથમતી નદીના પટમાં દફ્નાવતા હોવાનું જણાવ્યું હતું.
જોકે આ બાબતે હિંમતનગર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જયેશ પરમાર તેમજ તેમની ટીમ દ્વારા પ્રાથમિક તપાસમાં હાલ પુરતું હર્ષ ગાયનેક હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્ય વિભાગ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની આમાં સ્પષ્ટ બેદરકારી દેખાઈ આવે છે. એક તરફ આ બાળકી અધૂરા માસે કઈ રીતે મૃત અવતરી અને છેલ્લે તેના દફન માટેની ગાઈડ લાઈન હોવા છતાં સરેઆમ હાથમતી નદીના પટમાં તેને દફ્નાવાનારા સામે કાર્યવાહી કરવાની જગ્યાએ બંને ઓફિસના અધિકારીઓ એ.સી ઓફિસોમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે આ બાબતે તટસ્થતાથી તપાસ થાય એ જરૂરી બની ગયું છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
આગળની પોસ્ટ