સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ખેડુતોની હાલની સ્થિતિ દયનીય બની રહી છે અને જેના કારણે ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. કપાસ, મગફળી, કઠોળ હોય કે શાકભાજી તમામ પાકોમાં ખેડુતોના હાલ બેહાલ છે. સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદને લઈને ખેડુતોનો પાક પાણી પાણી થઈ ગયો છે. વાત કરીએ તો મગફળીના દાણા અને મગફળી પલળી જવાથી કાળી પડી ગઈ છે અને જેના કારણે ભારે નુકસાન થયું છે. ઘાસચારો પણ બગડી ગયો છે જેનાથી પશુઓ પણ ખાઈ શકે તેમ નથી. મગફળી માર્કેટમાં વેચવા જતા પણ યોગ્ય ભાવ મળી શકે તેમ નથી જેને લઈને ખેડુતોની હાલત કફોડી બની છે. અમુક મગફળી તો એવી છે કે જેમાંથી એક કણ પણ ખેડુતોને મળી શકે તેમ નથી અને જે મગફળી છે તે પણ કાળી થઈ ગઈ છે અને અંદરના દાણા પણ બગડી ગયા છે. કપાસની વાત કરીએ તો જે કપાસ ઉભો હતો તે સતત વરસાદને લઈને કાળો પડી ગયો તો ક્યાંક સુકાઈ ગયો છે, જે કપાસમાં રૂ નીકળી આવ્યું છે તે રૂ પલળી જવાથી કાળુ પડી ગયું છે તો ઈયળનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેમાં પણ કપાસમાં અંદાજે ખેડુતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડાંગર કપાસ અને મકાઈનો પાક પણ વાવાઝોડાને લઈને જમીનદોસ થઈ ગયો છે જેના કારણે ખેડુતોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડુતોએ સરકાર સમક્ષ આ નુકસાનને લઈ આર્થિક મદદ કરવાની માંગ કરી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ