શ્રમિકો માટે ચલાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનોમાં ૯૭ લોકોના મૃત્યુ થયાની વાત સરકારે રાજ્યસભામાં આજે સ્વીકારી હતી. રેલવે મંત્રી પીયુષ ગોયલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય શ્રમિકો માટે ટ્રેન ચલાવવામાં આવી હતી જેમાં ૯૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. શુક્રવારે ટીએમસીના સાંસદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના લેખિત જવાબમાં સાંસદને આંકડાકીય માહિતી પૂરી પાડી હતી. રાજ્યની પોલીસે અકુદરતી મૃત્યુના કેસમાં સીઆરપીસી ધારા ૧૭૪ હેઠળ કેસ નોંધ્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહી કરશે. મૃત્યુ પામેલા ૯૭ લોકોમાંથી ૮૭ લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
જેમાંથી ૫૧ મૃતદેહોનો રિપોર્ટ આવ્યો હતો જેમાં મોટાભાગના મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટ, હૃદયરોગ, મગજનું હેમરેજ, ફેફસાના રોગ અને કેટલાક લોકો તેમના શરીરમાં રહેલા કેટલાક રોગોના કારણે મૃત્યુ પામ્યા હતા. સરકારે જ્યારે રેલવે પાસે આંકડા માગ્યા કે જ્યારે લોકડાઉન હતું ત્યારે કેટલા લોકોના મૃત્યુ થયા ત્યારે રેલવે પ્રધાને જણાવ્યું હતું કે ૬૮ દિવસના લોકડાઉન દરમિયાન ૪૬૨૧ સ્પેશ્યિલ ટ્રેન દોડાવવામાં આવી જેમાં ૬,૩૧૯,૦૦૦ લોકોએ મુસાફરી કરી હતી અને તે સમય દરમિયાન ૯૭ લોકોના મૃત્યુ થયા હતા.
પાછલી પોસ્ટ