પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યાએ શ્રેણીબદ્ધ બેઠકો વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શ્રી કમલમ્, ગાંધીનગર ખાતે પ્રદેશના મહિલા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, બેટી બચાવો-બેટી પઢાઓ પ્રકલ્પ, કાર્યાલય આધુનિકરણ પ્રકલ્પ સહિત ઉત્તર ઝોનની મહત્વની બેઠક સાથે બેઠકોનો દિવસભર ધમધમાટ રહ્યો હતો. ગુજરાતનાં પ્રભારી તથા રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ભુપેન્દ્રજી યાદવ મહિલા મોરચાની બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મહીલા મોરચાની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ઝડપભેર પ્રગતિનાં પંથે પ્રયાણ કરી રહ્યો છે ત્યારે વધુમાં વધુ મહીલાઓને ભાજપા સાથે જોડીને મહીલા સશક્તિકરણનાં કાર્યોને વધુ ઉંચાઈએ પહોંચાડે તેમજ સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ મહિલાઓ સુધી વધુમાં વધુ પહોંચે તે માટે મહિલા મોરચો મદદરૂપ બને તે માટે મહીલા મોરચાને હાકલ કરી હતી.
પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણના કાર્યની શરૂઆત દેશભરમાં સૌ પ્રથમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. બેઠકમાં ઉપસ્થિત મહીલાઓનો જુસ્સો વધારતાં તેમણે જણાવ્યું હતું કે, જો મહીલાઓ સંકલ્પ કરે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૫૦થી વધુ બેઠકો જીતતા ભાજપાને કોઈ રોકી શકે તેમ નથી તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પ્રદેશ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રી વિજયા રાહટકરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એ ભૂમિ ઉપર આજે આવવાનું સદ્ભાગ્ય સાંપડયું છે, જેણે રાષ્ટ્રસેવા કાજે બે મહાન સપૂતો આ દેશને આપ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઈ શાહની દૂરંદેશી અને પ્રેરણા આપણને સાંપડ્યા છે.
શ્રી રાહટકરે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહીલા આરક્ષણ હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૫૦ ટકા મહિલા આરક્ષણ હોય, ચિરંજીવી યોજના હોય કે “૧૮૧” હેલ્પલાઈનની “અભયમ્” યોજના હોય-ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં અને ત્યારબાદ શ્રી આનંદીબેન પટેલ તથા વર્તમાનમાં શ્રી વિજયભાઈ રૂપાણીના શાસનકાળમાં મહીલા સશક્તિકરણનાં અનેકાનેક કાર્યો થયા છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની નખશિખ પ્રામાણિકતા અને ભાવવાહી અપીલને માન આપીને દેશમાં સવા કરોડ પરિવારોએ રાંધણગૅસની સબસીડી સ્વેચ્છાએ છોડી. ૩ વર્ષમાં પાંચ કરોડ ગરીબ પરીવારોને નિઃશુલ્ક ગૅસ કનેક્શન આપવાના લક્ષ્યાંક સામે માત્ર ૧ વર્ષમાં આપણે બે કરોડ ગરીબ પરીવારોને નિઃશુલ્ક ગૅસ કનેક્શન આપવામાં સફળ રહ્યા છીએ.
પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. જ્યોતિબેન પંડયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જ ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમોની શરુઆત થઈ હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જ બેટી બચાઓ-બેટી પઢાઓ, ભ્રુણ હત્યા રોકવા માટેના કાર્યક્રમો થકી “બેટી યુગ”ની શરુઆત કરી હતી. જેના કારણે દિકરીઓના જન્મ પ્રમાણ દરમાં નોંધપાત્ર વધારો થયો હતો. મહિલા મોરચાના આવતીકાલના કાર્યક્રમોની માહિતી આપતાં ડૉ. જ્યોતિબેન પંડયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે ૧૦ કલાકે દાહોદ ખાતે તેમજ બપોરે ૩ કલાકે મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે ભવ્ય મહિલા સંમેલનો યોજાશે. આ મહિલા સંમેલનોમાં મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રી વિજયા રાહટકર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.