સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલ દ્વારા આગામી ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંદર્ભમાં કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જયારે તાલુકાકક્ષાના અધિકારીઓને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ શાનદાર અને ભવ્ય રીતે ઉજવાય તે સંદર્ભમાં સ્થળ નક્કી કરવાથી માંડીને સ્ટેજ- ગ્રાઉન્ડ ની બેઠક વ્યવસ્થા, પ્લાન, આવાગમનની વ્યવસ્થા, પરેડ ધ્વજવંદન પોલ તથા ગ્રાઉન્ડ શણગાર, સ્ટેજ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વી.આઇ.પી. પાર્કિંગ, પાણી- લાઈટ મંડપ, પરેડ માર્ચ પાસ્ટ, વૃક્ષારોપણ, સાફ-સફાઈ, રંગરોગાન, સરકારી તેમજ ખાનગી મકાનો પર લાઇટીંગની વ્યવસ્થા, ડેકોરેશન, રિફ્રેશમેન્ટ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા, કોરોના વોરીયરનું સન્માન, બાળકોને બેસવાની વ્યવસ્થા સહિતની તમામ આનુસાંગિક બાબતો અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમ સુચારૂ રીતે પાર પડે તે માટે વિવિધ ૧૬ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ અને જિલ્લાના અધિકારીઓની સભ્યો તરીકે નિમવામાં આવ્યા છે જેમાં મંડપ ડેકોરેશન સમિતિ, વીજ પુરવઠો, લાઇટિંગ સમિતિ, પરેડ અને સલામતી સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, ટેબ્લો સમિતિ, બેઠક વ્યવસ્થા સમિતિ, સ્ટેજ સંચાલન સમિતિ, વાહન વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમન સમિતિ, રહેઠાણ- મહેમાન વ્યવસ્થાપન સમિતિ, સુશોભન સમિતિ, ખાતમુહુર્ત-લોકાર્પણ સમિતિ, આકસ્મિક સારવાર સમિતિ, સ્વચ્છતા સમિતિ, પાણી પુરવઠા સમિતિ, આમંત્રણ પત્રિકા વિતરણ સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ જેવી સમિતિઓની રચના કરવામાં આવી છે અને તેમને કરવાની થતી કામગીરી અંગે સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તમામ ખાતાના વિભાગના વડાઓએ પર્યાપ્ત વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.
આ બેઠક દરમિયાન જિલ્લાકક્ષાના વન મહોત્સવ અને વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિક, અધિક કલેકટર એચ.આર.મોદી, પ્રાયોજના વહીવટદાર અશોક ચૌધરી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)