કોરોના પોઝિટિવ આવેલાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. હોસ્પિટલમાં ૧૦ દિવસની સારવાર બાદ શિવરાજસિંહ ચૌહાણે કોરોનાને મ્હાત આપી છે. ૨૫ જુલાઈએ સીએમ શિવરાજસિંહ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે તેઓને ઘરમાં અલગ રહેવા અને ૭ દિવસ માટે પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવા માટેની સલાહ આપવામાં આવી છે.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સીએમ શિવરાજે કહ્યું કે, કોરોના યોદ્ધાને મારા પ્રણામ. હું તમામ મેડિકલ સ્ટાફને હૃદયથી ધન્યવાદ આપું છું. કોરોનાથી ડરવાની જરૂર નથી. આપણે લાપરવાહી કરવાની નથી. લાપરવાહી કરવાથી આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે. કોરોનાથી કોઈને ગભરાવવાની જરૂર નથી. લક્ષણો છૂપાવવા જીવલેણ છે. ચિંતા ન કરો, મસ્ત રહો અને આનંદથી બીમારીનો મુકાબલો કરો. મોઢા પર માસ્ક પહેરવું જરૂરી છે.
આ ઉપરાંત સીએમ ચૌહાણે કહ્યું કે, હું પોતે કોરોના યોદ્ધા બની ગયો છું. કોરોનાને ખત્મ કરવા માટે સહયોગ જરૂરી છે. આપણે લડીશું, અને જીતીશું એ સંકલ્પ હોવો જોઈએ. કોરોનાથી પ્રદેશ જીતશે અને દેશ જીતશે. કોરોના પોઝિટિવ આવ્યા છતાં પણ સીએમ ચૌહાણ સતત એક્ટિવ રહ્યા છે. હોસ્પિટલમાં ભરતી થયાના બીજા જ દિવસથી તેઓએ બેઠકોનો સિલસિલો શરૂ કરી દીધો હતો.