પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર અને જમ્મુ કાશ્મીરમાં ફેલાવવામાં આવી રહેલી અશાંતિ બાદ પણ જમ્મુ કાશ્મીરની સરકાર ભલે પાકિસ્તાન સાથે વાતચીત કરવાના મૂડમાં દેખાઈ રહી છે પરંતુ કેન્દ્રમાં મોદી સરકાર આતંકવાદના મુદ્દા ઉપર પડોશી દેશને કોઇપણ પ્રકારની રાહત આપવા માટે તૈયાર નથી.
કેન્દ્ર સરકાર નક્કરપણે માને છે કે, કોઇપણ પ્રકારની વાતચીતથી અમેરિકાના નેતૃત્વમાં સમગ્ર દુનિયામાં પાકિસ્તાનની સામે ઉભા કરવામાં આવેલા માહોલમાં હળવું વલણ આવી શકે છે અને સરકાર જોખમ લેવા તૈયાર નથી. મહેબુબા સરકારનું વલણ નબળું દેખાઈ રહ્યું છે પરંતુ મોદી સરકાર આક્રમકરીતે આગળ વધવા ઇચ્છુક છે. મહેબુબા સરકારે વિતેલા વર્ષોમાં પણ કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની પહેલ કરે છે. મહેબુબાએ વોટબેંક માટે આ નિવેદન કર્યું છે પરંતુ મોદી સરકાર આ બાબતને અવગણના કરવા કટિબદ્ધ છે. પાકિસ્તાનની સેનાએ ૨૦૧૭માં ડિસેમ્બર સુધી ૭૭૧ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ ઉપરાંત ઘુસણખોરી અને કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાઓમાં પણ તેજી આવી છે.
સરકારના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, હાલમાં શાંતિના પ્રયાસ માટે યોગ્ય સમય આવ્યો નથી. કોઇપણ પ્રકારની શાંતિ માટેના પ્રયાસની હિલચાલને નબળાઈ તરીકે જોવામાં આવી શકે છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં સરહદ પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇકને મોદી સરકાર પોતાની શ્રેષ્ઠ કામગીરી તરીકે ગણાવે છે. સરકારના તમામ વિભાગ ઇચ્છે છે કે, પાકિસ્તાનને ત્રાસવાદને પ્રોત્સાહન આપવા બદલ બોધપાઠ ભણાવવામાં આવે. સમગ્ર દુનિયા હાલમાં પાકિસ્તાનની વિરુદ્ધ છે. અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પણ રોકી દીધી છે. ભારતમાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં રાજકીય દાવપેચ અને ચૂંટણી અસરને ધ્યાનમાં લઇને પાકિસ્તાન સાથે વાતચીત મુશ્કેલ દેખાઈ રહી છે.
અગાઉ અટલ બિહારી વાજપેયીની સરકારે ૨૦૦૪માં યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા ૨૦૦૩માં પાકિસ્તાન સાથે વાતચીતનો હાથ વધાર્યો હતો પરંતુ આ વખતે મોદી સરકાર પાકિસ્તાનને કોઇ રાહત આપવાના મૂડમાં નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ