દશામાની મૂર્તિઓને ઘરે જ પધરાવવા માટે પોલીસે અપીલ કરી હતી અને તેમ છતાં પણ લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી. મૂર્તિઓને નદીમાં પધરાવવા પર પ્રતિબંધ અને રાત્રિ કરફ્યુનો કડક અમલ હોવા છતાં લોકોએ ઘરની બહાર નીકળી શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂર્તિઓ મૂકી દીધી હતી.
આનંદનગર પાસે આવેલા તળાવ પાસે બહાર જ લોકોએ મોટી સંખ્યામાં મૂર્તિઓ મૂકી હતી અને સવારે કેટલાક લોકો તળાવમાં પધરાવતા જોવા મળ્યા હતા. શહેરના અલગ અલગ બ્રિજ પર પણ મોડી રાતે લોકો મૂર્તિઓ મૂકી અને જતાં રહ્યાં હતાં. દશામાંના વ્રતને છેલ્લો દિવસ હોવાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આવી રીતે મોટી સંખ્યામાં રાતે લોકો મૂર્તિઓ સાથે બહાર નીકળતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખવામાં આવ્યો તો કેમ લોકો તળાવની પાસે, બ્રિજ પર અને રોડ પર મૂર્તિઓ મૂકી શક્યા તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. લોકોએ મૂર્તિ રોડ પર મૂકી દેતા કોર્પોરેશન દ્વારા મૂર્તિઓને લઇ લેવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.