વર્તમાન સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી દેતાં તેના વિરોધમાં આજે પાવીજેતપુરમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીએ જઇ આવેદનપત્ર આપી ૫ માર્ચ પછી પેટ્રોલ ડીઝલમાં થયેલા વધારાને પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લોકડાઉનમાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાં વારંવાર ધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેમજ એક્સાઇઝ ડ્યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી પ્રજાની પરેશાનીમાં વધારો કરી રહી છે. મે ૨૦૧૪થી ભાજપ સત્તા પર આવેલ ત્યારથી પેટ્રોલ ઉપર એક્સાઈઝ ડ્યૂટી રૂપિયા ૯.૨૦ પ્રતિ લીટર અને ડીઝલ ઉપર ઉપયોગ ૩.૪૬ પ્રતિ લીટર હતી. છેલ્લા છ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂપિયા ૨૩.૭૮ પ્રતિ લીટર અને ડીઝલ ઉપર ૨૮.૩૭ પ્રતિ લિટર એકસાઇઝ ડ્યુટીનો વધારો કરેલ છે. ડીઝલમાં એક્સાઇઝ ડ્યૂટીમાં ૮૨૦ ટકાનો અને પેટ્રોલમાં એકસાઇઝ ડ્યુટીમાં ૨૫૮ ટકાનો આઘાતજનક વધારો કરવામાં આવેલ છે. માત્ર પેટ્રોલ અને ડીઝલના ભાવો અને એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો દ્વારા વર્તમાન સરકારે છેલ્લા છ વર્ષમાં ૧૮ લાખ કરોડની કમાણી કરી છે. માત્ર છેલ્લા સાડા ત્રણ મહિનામાં વર્તમાન સરકારે ડીઝલના ભાવ અને તેના પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર રૂ ૨૦.૪૮ નો અને પેટ્રોલમાં પ્રતિ લીટર ૨૧.૫૦નો વધારો કર્યો છે. ૨૪ જૂન ૨૦૨૦ના રોજ ક્રૂડ ઓઇલના બેરલના ભાવ મુજબ પ્રતિલીટર રૂપિયા ૨૦.૬૮ થાય તેની સામે પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિલીટર રૂપિયા ૮૦ નજીક છે જે બાબત મોદી સરકારની બેફામ નફાખોરી અને પ્રજાને લૂંટવાની વૃત્તિ પૂરવાર કરે છે. આમ,પાવીજેતપુર કોંગ્રેસ દ્વારા ૫ માર્ચ,૨૦૨૦ પછીના પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને તેના ઉપર એક્સાઇઝ ડ્યુટીના વધારા પાછા ખેંચવા અને આ લાભો આ કપરા સમયમાં પ્રજાજનોને આપવા વિનંતી કરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)