અરવલ્લી જિલ્લાના સાયરા ગામની દલિત યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ અને હત્યા કરવાના બનાવમાં બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ લલીતભાઈ, ઉપપ્રમુખ પ્રકાશભાઇ અને એડવોકેટ મોહસીન મનસુરીએ ગામની મુલાકાત લઈ આરોપીઓને ફાંસી પર લટકાવવાની માંગ કરી છે. સાયરા ગામમાં દલિત યુવતીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં પરિવારે આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.
રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ કેસમાં સોશિયલ મિડિયામાં જબરજસ્ત વિરોધનો સુર ઉઠયો છે તે સિવાય આ કેસની માહિતી માંગી રહેલા પત્રકારો પર જિલ્લા પોલીસ વડા ઉકળી ઉઠયા હતા. ૧૯ વર્ષીય યુવતીનું ૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સાયરા ગામની સીમમાંથી અપહરણ કરાયું હતું. બાદમાં તેની સાથે સામુહિક દુષ્કર્મ કરીને તેની હત્યા કરીને મૃતદેહ ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે ભારે ચકચાર મચી છે. બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ સહિત વકીલ અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ફાંસી આપો એમ કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે કેસ નોંધવામાં ઢીલાશ દાખવનારા પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)