મા ભારતીની રક્ષા માટે દેશનાં સૈનિકો રાત-દિવસ દેશની સેવા માટે તત્પર રહે છે. ભારત માતાના વીર સપૂતો પોતાની નોકરી પૂરી કરી માદરે વતન પરત ફરે છે ત્યારે માદરે વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢ ગામમાં રહેતાં મેહુલ રાઠોડ (નાઈ) સેનામાં ૧૭ વર્ષ ૧૭ દિવસ નોકરી કરી આજે માદરેવતન ગઢમાં પરત ફર્યા હતા ત્યારે ગામલોકોએ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું હતું. ગામમાં પ્રવેશ કરતાં જ મેહુલ રાઠોડનું ઘોડે સવારી પર સ્વાગત કરવામાં આવ્યું હતું, ઘોડા પર સવારી કરી ઢોલ નગારા સાથે મેહુલ રાઠોડ પોતાના ઘર સુધી પહોંચ્યા હતા. ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા પુષ્પ માળાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ વસંત રાઠોડ બનાસકાંઠા જિલ્લા લિંબચ યુવા સંગઠનના પ્રમુખ વિનોદ નાઈ તેમજ ગામના આગેવાન મગન દેસાઈ તેમજ ગામના વડીલો, યુવાનો ,માતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભારત માતાના વીર સપૂતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)