મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના બીજા દિવસે અમદાવાદ જિલ્લાના વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા ત્રિપદા ગુરૂકુલમના ધોરણ ૭ થી ૯ના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થી દ્વારા સા.આ.કેન્દ્રના કેમ્પસમાં સફાઇ કરવામાં આવી હતી અને કચરો એકત્રીત કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ, શિક્ષકોએ હાથમાં પ્લે કાર્ડ સાથે લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ ત્રિપદા ગુરૂકુલમના પરાગ જોષી, અંજુકુમારી, ધીરૂ મકવાણા, કૃતિ જૈન, પ્રવિણ મકવાણા સહિત ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રિવરફ્રન્ટ પર સરપંચોના સંમેલનમાં કહ્યું હતું કે, હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે જંગ છેડવાનો સમય આવી ગયો છે. સરકાર જળજીવન મિશન શરૂ કરી ચુકી છે. આનાથી ઘણાં ફાયદા થશે. મહાત્મા ગાંધીના સપના આનાથી પૂર્ણ થશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખતરારૂપ છે. ૨૦૨૨ સુધી આનાથી મુક્ત થવાનો સમય આવી ગયો છે. સ્વચ્છતા સેવા મિશન હેઠળ સમગ્ર દેશે આ મિશનને ગતિ આપી છે. વિરમગામ ત્રિપદા ગૂરૂકુલમના વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાનને આગળ ધપાવી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)