Aapnu Gujarat
ગુજરાત

પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ છે સુભા પાલેકર પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજયપાલશ્રીએ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોધમજી ખાતે સભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક એક દિવસીય શિબિરને ખુલ્લી મુકતા કહ્યુ હતુ કે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક કૃષિ સાથે ૫૦૦ કિસાનોને જોડવા પ્રયાસ કર્યો અને જોતજોતામાં ૧૦ હજાર કિસાનો આ કૃષિ સાથે જોડાઇ ગયા. હરિયાણામાં ૨૦૦ એકર જમીન અને ૩૦૦ ગાય સાથે રાસાયણિક ખેતી થતી ત્યારે કૃષિ ખર્ચ દર વધતો ગયો અને ઉત્પાદન ઘટ્યું-ફળદ્રુપતા ઘટી તેથી જૈવિક કૃષિ તરફ વળવાનું નક્કી કર્યું. તેમાં પણ ઉત્પાદન વધ્યું નહીં. ત્યારબાદ સુભાષ પાલેકરજીના સંપર્કમાં આવ્યા બાદ પ્રાકૃતિક ખેતી અપનાવી.
તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક અર્થાત જૈવિક ખેતીમાં ત્રણ વર્ષ સુધી ઉત્પાદન ઘટે છે કૃષિ ખર્ચ વધે છે. પાંચ વર્ષ સુધી ઓર્ગનિક ખેતી કરી પણ સંતોષ ન થયો. આજે જૈવિક-ઓર્ગેનિકના નામે કેટલાંય ધંધા થાય છે. બધી જ પદ્ધતિમાં ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા જાય છે. ખેડૂતોની લૂંટ ચાલતી રહી. ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા પણ ગામમાં આવે તેવો રસ્તો જોઇએ. આ રસ્તો સુભાષ પાલેકરે પ્રાકૃતિક કૃષિ દ્વારા આપ્યો છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, બધી કૃષિ પદ્ધતિમાં ખેડૂતોને જ અંતે સહન કરવાનું આવે છે. ખેડૂત દેવાદાર બન્યો અને આત્મહત્યા તરફ વળ્યો. તેમણે ઉમેર્યું કે, પાલેકરજીની ખેતીમાં એક ગાય દ્વારા ૩૦ એકરની ખેતી થઇ શકે છે. રાજ્યપાલશ્રીએ દેશી ગાયના છાણ-ગૌ મૂત્ર, ગોળ, બેસન અને માટીના મિશ્રણથી તૈયાર થતું જીવામૃત – ચાર દિવસમાં તૈયાર થાય છે. તેના લાભ પણ દર્શાવ્યા હતા. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણુ હોય છે. આ જીવાણું જ કૃષિ માટે અગત્યના છે. જીવામૃત – ઘન જીવામૃતમાં આવા કરોડો જીવાણુઓ હોય છે. જે કૃષિ પાકના મૂળ સાથે સહજીવન કરી પાકને પોષણ આપે છે. દુનિયામાં આનાથી શ્રેષ્ઠ પદ્ધતિ કોઇ નથી. તેમ જણાવી તેમણે ઉમેર્યુ હતુ કે પોતાની ૨૦૦ એકર જમીનમાં થઇ રહેલી પાલેકર ખેતી અંતર્ગત એક રૂપિયાનો સામાન બજારમાંથી ખરીદ્યા વિના શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવામાં આવે છે. તેમણે પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ હોવાનું તેમજ ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે આવનારી પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવા પાણીની બચત, પર્યાવરણની રક્ષા, દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આજે પરંપરાગત ખેતી, રાસાયણીક, સજીવ, વૈદિક યોગિક અને પ્રાકૃતિક ખેતીના વિકલ્પ છે. તેમાં હવે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એક સક્ષમ વિકલ્પ ઉભો થયો છે.
રાસાયણિક ખેતીમાંથી ઉત્પન્ન થયેલો ઘાસચારો પશુઓને ખવડાવીએ છીએ તો તેમની વિષ્ટામાંથી પણ ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે આ પરિસ્થિતિ નિવારવા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. આ એવી પદ્ધતિ છે કે જેમાં ખાતર-બીજ કે બીજી કોઇ વસ્તુની જરૂર નથી પડતી. આ પદ્ધતિમાં ગાયનું છાણ-મુત્ર તથા અન્ય વસ્તુઓથી બનતુ જીવામૃતનો ઉપયોગ થાય છે. ખેડૂતો એક એકરમાં માત્ર ૧૦ ટકા પાણી હોય તો પણ પ્રતિવર્ષ રૂપિયા ૩ થી ૬ લાખ કમાઇ શકે તેવી આકર્ષક પદ્ધતિ છે, એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની રાજ્ય સરકાર કૃષિ કલ્યાણ માટે અનેકવિધ કાર્યો કરી રહી છે. તેમાં ખેડૂતો સહભાગી બની પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જોડાવા તેમણે આહવાન કર્યુ હતું તેમણે ગામે ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને રાસાયણિક ઝેરયુક્ત ખેતીથી દૂર રહી ધરતીને બંઝર બનાવતા અટકે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, ગુજરાતની આ શ્રેષ્ઠ ભૂમિ છે જયાં ગાંધીજી, સરદાર જેવા રાષ્ટ્રનિર્માણના ઘડવૈયા આપ્યા છે તો સ્વામી દયાનંદ સરસ્વતી જેવા લોકોની ઉત્તર ભારતના ઘર ઘરમાં પૂજા થાય છે. રાષ્ટ્રના નિર્માણમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યુ છે તો પ્રાકૃતિક ખેતીની પહેલ કરી એવા ફળ અને શાકભાજીનું ઉત્પાદન થાય કે વિદેશમાં તેની માંગ ઉભી થાય તે દિશામાં ખેતી કરવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીમાં સૂર્ય શક્તિ, વાયુ શક્તિ અને જીવાણુ શક્તિના સંયોજનથી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન અને મબલખ આવકનો નવતર અભિગમ સૌ ખેડૂતો અપનાવશે તો, ખેડૂતો ચોક્કસ સદ્ધર બનશે. આ પ્રસંગે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પ્રચાર-પ્રસાર કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરનાર પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાતના પ્રાકૃતિ ખેતીના સંયોજક પ્રફુલ્લ સેજલીયા, બંસી ગૌ વિકાસના ગોપાલ સુતરીયા, અગ્રણી જશુભાઇ પટેલ, સાબરકાંઠા જિલ્લાના સંયોજક રઘુભાઇ પટેલ, દિક્ષીત પટેલ, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા, જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ પટેલ, જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિક સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

સિવિલમાં ચાર પગવાળી પાંચ મહિનાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું

aapnugujarat

બાપુએ કહ્યું હું કોંગ્રેસમાં જ છું છતાં પણ અટકળનો દોર

aapnugujarat

એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે : નીતિન પટેલ

editor

Leave a Comment

UA-96247877-1