કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાની નારાજગીના સંદર્ભમાં ગુજરાતના રાજકારણમાં છેલ્લે કેટલાય સમયથી પ્રવર્તી રહેલી અસમંજસભરી પરિસ્થિતિ ઉપર હાલમાં ખુબ જ નાટ્યાત્મકરીતે પડદો પડી ગયો હતો. જેમાં ખુદ શંકરસિંહ વાગેલાએ એવી સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં જ છું અને ભાજપ દ્વારા જ મારા વિશે મીડિયામાં છેલ્લાકેટલાક સમયથી ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હતો. શંકરસિંહ વાઘેલા થોડા સમય અગાઉ રાહુલ ગાંધી સાથેની ગુજરાત કોંગ્રેસ કોર કમિટિની નવી દિલ્હી ખાતે યોજાયેલી બેઠક અધવચ્ચે છોડી ગુજરાત પર ફર્યા હતા અને તુરંત જ તેમના ટિ્વટર એકાઉન્ટમાંથી તમામ કોંગ્રેસી નેતાઓને અનફોલો કરી દઈ બાપુ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા હોવાના સંકેત આપ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમના કથિત ચીનના પ્રવાસે પણ રવાના થઇ ગયા હતા. ગઇ મોડી રાત્રે શંકરસિંહ વાઘેલા ગાંધીનગર પરત ફર્યા હતા અને આજે દિનભરના ઘટનાક્રમમાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત તેમને મળવા તથા મનાવવા બાપુના નિવાસ સ્થાન વસંત વેગડો દોડી ગયા હતા. જ્યાં તેમે બાપુ સાથે વન ટુ વન મિટિંગ કરી બપોરનું ભોજન પણ લીધું હતું. ત્યારબાદ આજે સાંજે અશોક ગેહલોત, શંકરસિંહ વાઘેલા તથા ભરતસિંહ સોલંકીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપા દ્વારા તેમના વિશે મીડિયામાં ખોટી ભ્રમણકા ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેઓ કોંગ્રેસમાં જ છે ક્યાંય જતા નથી તેવી સ્પષ્ટતા કરી આગામી વિધાનસભાની ચૂંટણી માટે અમે સહુ સાથે મળીને કામ કરીશું તેમ જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ શંકરસિંહ સાતે તેમના નિવાસસ્થાને વન ટુ વન મિટિંગ થઇ હોવાનું જણાવી પક્ષમાં સબ સલામત હૈનો સીધો ઇશારો કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અન્ય દિગ્ગજો શંકરસિંહ વાઘેલાના રાજકીય સામર્થ્યથી ખુબ ડરે છે. ૧૯૯૫માં શંકરસિંહે ભાજપની ભ્રષ્ટાચારી સરકારને ઉથલાવી પાડી હોવાથી હવે આ લોકો શંકરસિંહને રાજકીયરીતે ડિસ્ટર્બ કરવાની કોઇ તક છોડતા નથી પરંતુ અમે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે વિજય મેળવીશું અને તેના માટે અમે સહું સાથે મળીને મહેનત કરીશું. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ શંકરસિંહ વાઘેલા એક ક્ષણ પણ રોકાયા વગર ત્યાંથી રવાના થઇ ગયા હતા અને તેમની બોડી લેંગવેજ પરથી એવું લાગતું હતું કે શંકરસિંહનું આ સમાધાનકારી વલણ કામચલાઉ અને તેમની રણનીતિના ભાગરુપે હતું તેવું રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઇ રહ્યું છે.