Aapnu Gujarat
Uncategorized

નરેન્દ્ર મોદી ૨૯-૩૦ જૂન, બે દિવસ ગુજરાતના પ્રવાસે, રાજકોટમાં રોડ શો કરશે

સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણી, દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, નર્મદાના નીરનાં વધામણાં, રાજકોટમાં ભવ્ય રોડ શો, ઈન્ટનેશનલ ટેક્સટાઈલ એક્ઝિબીશન સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આગામી તા. ૨૯-૩૦ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ તા. ૨૦-૨૧ જૂન દરમ્યાન સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનના પેજ પ્રમુખ અને બુથ પ્રમુખના કાર્યકર્તા સંમેલન તેમજ “વિશ્વ યોગ દિવસ” નિમિત્તે અમદાવાદમાં યોગના કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ અંગે વિગતો આપતાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમમાં સવારે ૧૦ કલાકે પ.પૂ. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્‌ રાજચંદ્રજીની ટપાલ ટીકીટ તેમજ સોનાના સિક્કાનું અનાવરણ કરશે. સાબરમતી આશ્રમ ખાતેના આ કાર્યક્રમમાં ધરમપુર ખાતેના તેમના આશ્રમના અનુયાયીઓ ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાજકોટ ખાતે સાંજે ૪ કલાકે દિવ્યાંગોના કાર્યક્રમમાં હાજરી આપી દિવ્યાંગોને જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરશે, સાંજે ૬ કલાકે “સૌની યોજના” અંતર્ગત આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરશે, ત્યારબાદ રેસકોર્ષ મેદાન ખાતે વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. જાહેરસભા બાદ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. વિવિધ સમાજ, સંગઠનો તથા સામાન્ય જન દ્વારા રોડ-શો દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવશે.નરેન્દ્ર મોદીજી બીજા દિવસે અરવલ્લી ખાતે પાણી પુરવઠા વિભાગની યોજનાનું લોકાર્પણ કર્યા બાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ-મણીનગર ખાતેના “ધ અરેના-ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડીયમ” ખાતે યુવાઓને માર્ગદર્શન આપશે. સાંજે ૦૫ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજીત “ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સ ઍન્ડ એક્ઝિબીશન” કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ દેશભરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વારાણસીના વણકરો ખાસ ઉપસ્થિત રહેશે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ૨ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા આગામી તા. ૨૦-૨૧ જૂનના રોજ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. તા. ૨૦ જૂનના રોજ જુનાગઢ ખાતે બપોરે બે કલાકે યોજાનાર સૌરાષ્ટ્ર ઝોન તેમજ તા. ૨૧ જૂનના રોજ ખેડા જીલ્લાના નડીયાદ ખાતે યોજાનાર કાર્યકર્તા સંમેલનમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
આ બુથ સંમેલનમાં મોટી સંખ્યામાં પેજ પ્રમુખ અને બુથ પ્રમુખ ઉપસ્થિત રહેશે. ખેડા જીલ્લા ખાતેના નવનિર્મિત જીલ્લા ભાજપા કાર્યાલયનું પણ અમિત શાહ લોકાર્પણ કરશે.આગામી તા. ૨૧ જૂન “વિશ્વ યોગ દિવસ” છે. આ વખતના યોગ દિવસને યાદગાર બનાવવા તેમજ પરિવારભાવના વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “કલ, આજ ઔર કલ” એટલે કે ત્રણેય પેઢી એક સાથે યોગ કરે તેવો અભિગમ મૂક્યો છે. આ “વિશ્વ યોગ દિવસ” નિમિત્તે અમદાવાદમાં યોજાનાર યોગના કાર્યક્રમમાં અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેશે.જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૩ જૂન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આથી દર વર્ષે તા. ૨૩ જૂનને બલિદાન દિવસ તરીકે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરવામાં આવે છે. આ નિમિત્તે ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં તેમને શ્રદ્ધાંજલી અર્પવામાં આવશે અને તેમના જીવન ચરિત્ર પર જીલ્લા/મહાનગરોમાં વ્યાખ્યાનમાળા યોજાશે.તા. ૨૫ જૂન-કટોકટી દિન એ લોકશાહીનો કાળો દિવસ છે. કોંગ્રેસના તે વખતના વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ ૨૫ જૂન, ૧૯૭૫માં મધ્ય રાત્રીએ લોકશાહીની હત્યા સમાન દેશમાં કટોકટી લાદી દીધી હતી. લોકશાહીને બચાવવા માટે સમગ્ર દેશમાં અનેક દેશવાસીઓએ પોતાના બલિદાનો આપ્યા હતા, જેલવાસ ભોગવ્યા હતા. ૨૫ જૂનને કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે નિમિત્તે સમગ્ર રાજ્યભરમાં કાર્યક્રમો યોજાશે. તા. ૨૫ જૂન મહિનાનો અંતિમ રવિવાર હોઈ પીએમ મોદી મનકી બાત રજૂ કરશે, ત્યારે તમામ બુથોમાં બુથના પ્રમુખ, પેજ પ્રુમખ અને કાર્યકર્તાઓ સાથે બેસીને મનકી બાતનું શ્રવણ કરશે.

Related posts

જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. મનીન્દરસિંઘ પવારે જિલ્લાના અગ્રણી સાથે બેઠક યોજી

aapnugujarat

राजकोट क्राइम ब्रांच के हत्थे चढ़ा कुख्यात एजाज खियानी

editor

પૂજારીએ પરિણીતાને હવન કરવા બોલાવી દુષ્કર્મ આચર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1