મહેસાણા પાટીદાર યુવક કેતન પટેલના કસ્ટોડિયલ ડેથમાં હવે એક નવો વળાંક આવ્યો છે. બાબુ મંગુકિયાએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર આ કેસની તપાસ સીબીઆઈને નહીં સોંપે ત્યાં સુધી કેતન પટેલના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે નહીં.આ દરમિયાન દોષિતોની ધરપકડ ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસેલા કેતન પટેલના પિતા મહેન્દ્ર પટેલ તથા વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલ, કિરીટ પટેલે મંગળવારે પારણા કર્યા હતા.
પાંચ અલગ-અલગ સમાજની દિકરીઓ દ્વારા તેમના પારણા કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ, બાબુભાઈ મંગુકિયા અને એસપીજીના લાલજી પટેલે પણ તેમના પારણા કરાવ્યા હતા.બલોલના પાટીદાર યુવક કેતન પટેલના કસ્ટોડિયલ મોત મામલે સ્ફોટક સ્થિતિ સર્જાયા પછી અંતે ફરિયાદ દાખલ થઈ છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ચિરાગ પરમાર અને જ્યાં ચોરી થઈ હતી તે પાન પાર્લર સંચાલક ભરત બારોટ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી તરફ, સરકારી વકીલ દ્વારા સીડી ન આપવા મામલે કોર્ટમાં અરજી કરતાં આ અંગે વધુ સુનાવણી આગામી ૧૬મી જૂને હાથ ધરાશે. જ્યારે આ સમગ્ર કેસમાં સરકાર રાજકારણ રમી રહી હોવાનો પાટીદાર અગ્રણી અને જાણીતા વકીલ બાબુભાઇ માંગુકીયાએ આક્રોશ ઠાલવ્યો હતો.