સિવિલ હોસ્પિટલમાં સ્વાઈનફલુ અંગે સારવાર લઈ રહેલા વધુ એક દર્દીનું મોત થવા પામ્યું છે.વર્ષ-૨૦૧૨થી અત્યાર સુધીમાં રાજ્યમાં સ્વાઈનફલુના કારણે કુલ ૮૫૪ લોકો પોતાના જીવ ગુમાવી ચુકયા છે.આ અંગે મળતી માહીતી અનુસાર,અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક પ્રોઢને સ્વાઈનફલુના લક્ષણો નજરે પડતા તેમને પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાંથી થોડા સમય અગાઉ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને વેન્ટિલેટર સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા હતા.જયાં ગઈકાલે રવીવારના રોજ તેમનું મોત થવા પામ્યું છે.અમદાવાદ શહેરની કુલ વસ્તી ૬૫ લાખની હોવા છતાં તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક બજેટ કુલ રૂપિયા ૬૫૫૧ કરોડ છે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ હોસ્પિટલમાં સ્વાઈન ફલુના દર્દીઓને સારવાર મળી રહે એ માટે અલાયદા આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા આજદિન સુધી કરવામાં આવી નથી.રાજયમાં વર્ષ-૨૦૧૨થી આજદિન સુધી પાંચ વર્ષમાં કુલ મળીને ૮૫૪ લોકોના સ્વાઈન ફલુના કારણે મોત થવા પામ્યા છે.