રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી કૌશિકભાઇ રણછોડભાઇ ચાવડાના પરિવારજનોની કારને આજે વલસાડ નજીક ગમખ્વાર અકસ્માત નડયો હતો. આ ગંભીર અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજયા હતા. જેમાં રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રીના પત્ની અને કૌટુંબિક ભાણેજનો સમાવેશ થતો હતો. આ અકસ્માતમાં કૌશિકભાઇ ચાવડા અને તેમના પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ખાસ કરીને ભાજપના વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને એસ્કોર્ટ સિક્યુરિટીના માલિક કૌશિકભાઈ રણછોડભાઈ ચાવડા પરીવારજનો સાથે મોડીરાત્રે મુંબઈથી કારમાં રાજકોટ પરત ફરી રહ્યા હતા. દરમ્યાન વલસાડ નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ તમામને ૧૦૮ દ્વારા વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કૌશિક ચાવડાની પત્ની ભુમિકા અને કૌટુંબીક ભાણેજનું મોત નીપજ્યું હતું. જ્યારે કૌશિક ચાવડા અને તેના પુત્રને ગંભીર ઈજા પહોંચી હોઇ સારવાર હેઠળ રખાયા હતા. કૌશિકભાઈ, પત્ની ભૂમિકા, પુત્ર જીલ સાથે સિંગાપોરના પ્રવાસે ગયા હતા. સિંગાપોરથી ચાવડા પરીવાર મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરી કારમાં રાજકોટ આવવા રવાના થયા હતા, ત્યારે મોડી રાત્રે વલસાડ નજીક અકસ્માત થયો હતો. આ ઘટનાથી ચાવડા પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત રાજકોટ જવા રવાના કરાયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભૂમિકાબેન અને ભાણુભાના મૃતદેહ મોડીરાત્રે રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને પહોંચડવાની તજવીજ હાથ ધરાઇ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારનો ભુક્કો બોલી ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ભાજપ વર્તુળમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ