બિહારની બેગૂસરાય બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે ફરી વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મંચ પરથી મુસ્લિમ સમુદાયને ચેતવણી આપતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે જો કબર માટે ત્રણ હાથ જમીન જોઇતી હોય તો આ દેશમાં વંદેમાતરમ ગાવું પડશે અને ભારતમાતાની જય બોલવું પડશે.
ગિરિરાજ સિંહે કહ્યું કે આરજેડીના ઉમેદવારે દરભંગામાં એવું કહ્યું કે તેઓ વંદેમાતરમ નહીં બોલે. બેગૂસરાયમાં પણ કેટલાંક લોકો મોટા ભાઇનો કૂર્તો અને નાના ભાઇનો પાયજામો પહેરીને ભ્રમણ કરી રહ્યાં છે. પરંતુ હું તેમને યાદ અપાવવા માંગું છું કે જે વંદેમાતરમ નહીં ગાઇ શકે, જે ભારતની માતૃભૂમિને નમન નહીં કરી શકે તે એ વાત યાદ રાખે કે અરે ગિરિરાજના નાના-દાદા સિમરિયા ઘાટમાં ગંગા નદીના કિનારે મર્યાં, એ ભૂમિ પર કોઇ કબર નહોતી બનાવી પરંતુ તમારે તો ત્રણ હાથ જમીન જોઇએ છે. તમે એવું ન કરી શક્યા તો દેશ તમને કદી માફ નહીં કરે.
બેગૂસરાયમાં અમિત શાહની રેલી દરમિયાન ગિરિરાજ સિંહે કહ્યું કે કેટલાક લોકો બિહારની ધરતીની રક્તરંજિત કરવા માંગે છે, સાંપ્રદાયિક આગ ફેલાવવા માંગે છે પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી બિહારમાં એવું થશે નહીં અને બેગૂસરાયની ધરતી પર એવું થશે નહીં.