પોરબંદર લોકસભા બેઠક પર ખરવા સમાજ અને ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરીયા વચ્ચે વિવાદનો મધપુડો છંછેડાયો છે. ખારવા સમાજે વિજય રૂપાણીની જાહેરસભાનો બહિષ્કાર કર્યો હતો. હવે ગરમ રાજકારણ વચ્ચે કોંગ્રેસના લલિત વસોયા અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસની વોટબેંક માટે ખારવા સમાજમાં મિટિંગમાં પહોચી અને ખાતરી આપી હતી કે માછીમારોના પ્રશ્નો તાત્કાલિક હલ કરીશું. ખારવા સમાજે પણ વાત સાંભળી હતી અને સમાજનું કામ કરશે તેને મત આપવાની વાત કરી હતી.
ભાજપ અને કોંગ્રેસ ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે બે દિવસ પહેલા ખારવા સમાજ રેલી સ્વરૂપે ભાજપમાં જોડાવાનો હતો, પરંતુ સ્થાનિક ધારાસભ્ય બાબુ બોખીરીયાના વિરોધને કારણે ખારવા સમાજના લોકો રેલી કે સભામાં ગયા નહોતા. જેથી રાજકારણમાં ગરમી વધી હતી.
આ અંગે ખારવા સમાજ પોરબંદરના ટ્રસ્ટી અશ્વિન જુંગીએ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર અને અર્જુન મોઢવાડિયા ખારવા પંચાયત મંદિરની શુભેચ્છા મુલાકાતે આવેલ છે ખારવા સમાજની અનેક સમસ્યા છે તેની રજૂઆત તેમણે સાંભળી છે અને કોંગ્રેસના ઉમેદવાર મુલાકતે આવેલ હતા ભાજપના રમેશ ધડુક પણ આવેલ હતા. માછીમાર વ્યવસાય ભાંગી રહ્યો છે ૧૨ ગામના સમાજના પ્રમુખ સાથે રજૂઆત કરી હતી. ખારવા સમાજ ભાજપની જાહેર સભા અને રેલીના સ્વરૂપે જોડાવાનો હતો પરંતુ કોઈએ અફવા ઉડાડી અને અપમાનિત કરતા સમાજ નારાજ થતા કોઈ જાહેરસભામાં ગયેલ નથી સમાજ કોઈનું અપમાન સહન કરવા અખત્યાર નથી.