વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની કથિત તપાસ બદલ મોહમ્મદ મોહસિન નામના એક આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસ પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, પીએમ મોદી તેમના હેલિકોપ્ટરમાં એવું તો શું લઈને જઈ રહ્યા હતા કે તેમણે દુનિયાથી આ વસ્તુ છૂપાવવી પડી હતી? બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે પણ ટિ્વટ કરીને વિવિધ સવાલો ઉઠાવ્યા છે. અહેમદ પટેલે સવાલ ઉઠાવતા કહ્યું કે, નિયમ બધા માટે અલગ-અલગ કેમ છે?
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલે આ મામલે ટિ્વટ કરતા લખ્યું છે કે, “એવા અનેક પ્રસંગો બન્યા છે જ્યારે કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ પ્રમુખોના કાફલાની ચૂંટણી પંચ દ્વારા તપાસ કરવામાં આવી હોય. એસપીજી રક્ષણ પ્રાપ્ત હોય તેવા દરેક વ્યક્તિઓ માટે અલગ નિયમ ન હોય. પીએમના હેલિકોપ્ટરની તપાસ માટે આઈએએસ અધિકારીને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો? આવું કરીને શું સંદેશ આપવામાં માંગો છો? શું કાયદો બધા માટે અલગ અલગ હોય છે?”
બીજા એક ટિ્વટમાં અહેમદ પટેલે લખ્યું છે કે, “મારો સવાલ એકદમ સરળ છે. જો એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા કોંગ્રેસના નેતાની તપાસ થઈ શકે છે તો આ નિયમ બીજેપી પર કેમ ન લાગૂ થઈ શકે?”