ભાવનગર લોકસભાની બેઠક પર આ વખતે પ્રથમવાર કોળી અને પટેલ વચ્ચે જંગ જામવાનો છે. પાટીદાર અનામત આંદોલન પછીના બદલાયેલા પરિબળો, બોટાદ જિલ્લાનો આ બેઠકમાં સમાવેશ, અન્ય સમાજની પણ નારાજગી સહિતના પરિબળોને ધ્યાન લઈ કોંગ્રેસે મનહર પટેલને મેદાનમાં ઉતારી સાત ટર્મથી આ બેઠક પર કબજો ધરાવનાર ભાજપ માટે મજબુત પડકાર ફેંકયો છે. આ વખતે જંગ કોંગ્રેસ-ભાજપ વચ્ચે તો છે જ સાથે આ બેઠકના બે બહુમત સમાજના ઝુકાવનો પણ બની રહેશે.
ભાવનગર બેઠક પર ૧૯૯૧થી ભાજપ કબજો ધરાવે છે અને છ ટર્મ ક્ષત્રિય અને એક ટર્મ કોળી ઉમેદવાર વિજેતા થયા છે. ડો. ભારતીબેન શિયાળને રીપીટ કરી ભાજપે રીપીટ થિયરી મુજબ ભાવનગરમાં પણ સ્થાપિતને પુનઃ તક આપી છે. તો કોંગ્રેસે આ વખતે પ્રથમવાર પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારી નવા સમીકરણ માંડયા છે. સ્થાનિક પ્રશ્નોના મામલે પ્રશ્નો ઉઠાવવામાં ભારતીબેનની સક્રિયતા રહી છે. પરંતુ બહુ લાંબી ફળશ્રુતિ મળી નથી. બે-ચાર નવી ટ્રેઈન શરૂ થઈ પરંતુ ભાવનગર-અમદાવાદ બ્રોડગેજનું કામ હજુ ચાલુ છે. રો-રો ફેરી શરૂ થઈ પરંતુ તેના પ્રશ્નો પણ સતત ઉભા જ છે. ખાસ કરીને ઔદ્યોગિક વિકાસ મામલે ભાવનગરમાં જે થવું જોઈએ તેમાં નિષ્ફળતા રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાવનગર વિકાસ મામલે પાછળ રહી ગયો છે તે સહુ સ્વીકારે છે ત્યારે તેમાં ‘દિલ્હી દરબાર’ અને ભાવનગરના ચુંટાયેલા પ્રતિનિધીઓનો પણ દોષ ગણવો રહ્યો. જો કે આ વખતની ચુંટણીમાં સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્દા અને ચોર-ચોકિદાર વાળી બાબતો જ મહત્વની છે તે સ્વિકારવું રહ્યું.ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે તેથી બંને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ આ ત્રણ સમાજમાંથી જ ઉમેદવારની પસંદગી મોટાભાગે કરતા હોય છે. ભાવનગરમાં લોકસભાની સીટ પર વર્ષ ૧૯પ૧થી કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસે અને અન્ય પક્ષે ૯ વખત વિજય મેળવ્યો હતો, જયારે વર્ષ ૧૯૯૧થી ભાજપનો દબદબો છે, ભાજપે ૭ વખત જીત મેળવી છે.